|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર તાલુકાના ચંદિયા ગામે પ્રેમીએ મિત્રની મદદથી પ્રેમિકાને ગળેટૂંપો આપી હત્યા કરી લાશને વજનદાર પથ્થર બાંધી કૂવામાં ફેંકી દીધી હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઘટનાની જાણ થતાં અંજાર પોલીસે ભુજ ફાયર બ્રિગેડની મદદથી ૫૫ ફૂટ ઊંડા પાણી ભરેલાં કૂવામાંથી પ્રેમિકાની લાશ બહાર કઢાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અંજારના પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ચંદિયા ગામે રહેતી ૧૮ વર્ષની રાધા સથવારા (દેવીપૂજક)ને નજીકના મિંદીયાળા ગામે રહેતા રાજેશ રબારી નામના યુવક સાથે આંખો મળી ગઈ હતી.
રાજેશે લગ્નની લાલચ આપીને રાધા સાથે શરીર સંબંધ બાંધેલો. રાજેશ સાથેના સહવાસથી રાધા ગર્ભવતી બનેલી.
ગર્ભવતી રાધાએ રાજેશ પર લગ્ન કરવા દબાણ વધારતાં રાજેશે રાધાને પત્ની બનાવવાના બદલે પતાવી દેવાનું નક્કી કરેલું.
ગળેટૂંપો આપી હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી
બે-ત્રણ દિવસ અગાઉ ઘરેથી ભાગી જઈને લગ્ન કરવાના બહાને રાજેશ રાધાને ગામના સીમાડે લઈ આવ્યો હતો. રાજેશે તેના મિત્ર રાહુલ રબારી (રહે. મખિયાણા)ની મદદથી સૌપ્રથમ રાધાને ગળેટૂંપો આપી મારી નાખી હતી. બાદમાં વજનદાર પથ્થર બાંધીને રાધાની લાશને સીમાડે આવેલા પાણી ભરેલાં કૂવામાં નાખી દીધી હતી.
દીકરી ગાયબ થતાં પરિવારજનોએ અંજાર પોલીસ મથકે ગુમનોંધ લખાવી હતી. પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમે સઘન તપાસ હાથ ધરીને રાજેશને પકડીને પૂછપરછ કરતાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો છે.
ઘટના અંગે રાજેશ અને રાહુલ વિરુધ્ધ હત્યા સહિતની કલમો તળે વિધિવત્ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
Share it on
|