કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં રહેતા ૪૩ વર્ષિય લખ્ખુ રૂડાભાઈ હુંબલની થયેલી ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દઈને હત્યારાને ઝડપી પાડ્યો છે. હત્યારો મરનારની પત્નીનો પ્રેમી નીકળ્યો છે. પોતાના આડા સંબંધોની જાણ મરનારને થઈ ગઈ હોઈ તે પોતાને ગમે ત્યારે મારી નાખશે તેવી બીક રાખીને પ્રેમી દિનેશ રાયધણ ઠાકોરે હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.
વરસામેડીની સરદાર આવાસ સોસાયટીમાં રહેતો લખ્ખુ ૩૧ ઑગસ્ટની રાત્રિ બાદ ગુમ થઈ ગયો હતો. લખ્ખુના યુવાન પુત્ર રવિએ જણાવેલું કે ૩૧ ઑગસ્ટની રાત્રે દસ વાગ્યે તે વરસામેડી ટોલનાકા પાસે ગણેશ મંદિર પાછળ આવેલા ખેતરનું રખોપું કરવા માટે પિતાને બાઈક પર ત્યાં મૂકી આવેલો.
કામ હોવાનું કહીને દિનેશે લખ્ખુને ઘરે બોલાવેલો
કામ હોવાનું કહીને દિનેશે ખેતરમાં રહેલા લખ્ખુને રાત્રે ૧૧ વાગ્યે પોતાના ઘરે બોલાવેલો. લખ્ખુને વાતચીતમાં પરોવીને એકાએક લોખંડના ભારેખમ સળિયાથી દિનેશે તેના માથામાં બેથી ત્રણ વખત વાર કર્યો હતો. ગંભીર ઈજાથી લખ્ખુ સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો.
બીજા દિવસે લાશના ટુકડા કરી નિકાલ કર્યો
વરસામેડી બસ સ્ટેન્ડ પાસે તળાવ નજીક રહેતા દિનેશે લખ્ખુની લાશને તળાવમાં ફેંકી દેવાનું નક્કી કરેલું પરંતુ એકલા હાથે લાશ ઉપાડી શક્યો નહોતો. જેથી તેણે હેક્સો બ્લેડ વડે લાશના બે ટુકડા કરેલાં અને બીજા દિવસની રાતે પ્લાસ્ટિકના બે થેલામાં એક ટુકડા ટુકડાને પેક કરીને વારાફરતી ઊંચકીને દોઢસો મીટર દૂર આવેલા તળાવમાં ફેંકી આવેલો. લખ્ખુનો મોબાઈલ ફોન નર્મદા પમ્પિંગ સ્ટેશન નજીક ફેંકી આવેલો.
હત્યા સમયે લખ્ખુની પત્ની અમરાવતીમાં હતી
લખ્ખુની પત્ની શીતલને છેલ્લાં દોઢ વર્ષથી દિનેશ જોડે આડા સંબંધો હોઈ બેઉ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એક વર્ષ અગાઉ શીતલ ૧૮ વર્ષના પુત્ર અને માતાને લઈ લખ્ખુને તરછોડી વરસામેડીમાં જુદી રહેવા જતી રહેલી. પરિવારજનોએ યુગલ વચ્ચે સમજાવટ અને સમાધાન કરાવ્યાં બાદ એક માસથી શીતલ પુત્રને લઈ પરત પતિગૃહે રહેવા આવેલી. લખ્ખુની હત્યા થઈ તેના અઠવાડિયા અગાઉ શીતલ પુત્ર અને માતાને લઈ પિયર મહારાષ્ટ્રના અમરાવતી ગયેલી. રવિ પાંચ દિવસથી પરત આવી ગયેલો પણ શીતલ ત્યાં જ રોકાઈ ગયેલી. હત્યાના ગુનામાં હાલ તુરંત શીતલની કોઈ ભૂમિકા બહાર આવી નથી.
દિનેશની પત્ની રીસામણે હોઈ ઘરમાં એકલો હતો
હત્યારો દિનેશ ઠાકોર મૂળ રાપર તાલુકાના પલાંસવા ગામનો વતની છે અને અંજારની રત્નમણિ મેટલ્સ નામની કંપનીમાં નોકરી કરે છે. દિનેશ પરિણીત છે અને બે સંતાનો સાથે રહે છે. રક્ષાબંધનના આગલા દિવસે દિનેશનો તેની પત્ની જોડે ઝઘડો થયેલો અને પત્ની બે સંતાનોને લઈને રીસામણે જતી રહેલી. જેથી દિનેશ ઘરમાં એકલો જ હતો.
પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને અંજાર વિભાગના SDPO મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં અંજાર પીઆઈ હકુમતસિંહ જાડેજા, પીએસઆઈ એસ.જી. વાળા, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.એમ.વાળા અને પીએસઆઈ ડી.જી. પટેલ સહિતના સ્ટાફે ચોતરફ દોડધામ કરીને ગણતરીના કલાકોમાં ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી લીધી છે.
Share it on
|