|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ જમાનો ભલે એઆઈનો હોય પરંતુ ભારતીય સમાજમાં લગ્ન કરીને સાસરે જતી પુત્રવધૂઓ પ્રત્યેની સદીઓ જૂની સંકુચિત માનસિક્તા યથાવત્ રહી છે. આ માનસિક્તાની ઝલક અંજારના આ બનાવ પરથી વર્તાઈ આવે છે. અંજારના વરસામેડીમાં આવેલા હરિસિધ્ધિ પાર્કમાં પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી રાજલબા ઊર્ફે અવનીબા સોઢાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ૨૦૨૪માં રાજલના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ શિવરાજ ભરતસિંહ સોઢા સાથે થયેલાં. રાજલ તેના માતા પિતાની એકની એક દીકરી હતી. પિતા સુખદેવસિંહ ઘણાં વર્ષો અગાઉ ગુજરી ગયેલાં અને માતા અમરતબા આંગણવાડીમાં નોકરી કરે છે.
મરતાં અગાઉ માતાને વોટસએપ પર સ્યુસાઈડ નોટ મોકલેલી
મરતાં અગાઉ રાજલે શનિવારે રાત્રે ૧૧ વાગ્યે માતાને વોટસએપ પર બે પાનાંની લંબાણભરી મરણચિઠ્ઠી મોકલી હતી. દીકરીની સ્યુસાઈડ નોટ જોઈને માતાએ તુરંત ગાંધીધામના પડાણામાં રહેતાં દિયરના પુત્ર વિજયસિંહ વાઘેલાને જાણ કરેલી. વિજયસિંહ તેમના બે ભાઈ સાથે તુરંત વરસામેડીમાં રાજલના સાસરે દોડી આવેલાં. તેમણે જોયું તો રાજલના બેસુધ દેહને સાસરિયાઓએ બેડ પર સૂવડાવ્યો હતો. રાજલને ૧૦૮ મારફતે રામબાગ લઈ જવાયેલી પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરેલી.
“આવા સાસુ-સસરા ભગવાન કોઈને પણ ના આપે”
મરણચિઠ્ઠીમાં રાજલે લખેલું કે “જય માતાજી, હું મારા સાસુ રેખાબા અને સસરા ભરતસિંહના લીધે આત્મહત્યા કરું છું. મને માનસિક ટોર્ચર કરે છે. છોકરાં કરવા માટે મને દબાણ કરે છે...
સૉરી મારા મમ્મી, મને માફ કરી દેજો, મેં આવું પગલું ભર્યું. હું તમારા જેવી હિંમતવાળી નથી. આટલો ટાઈમ મેં હિંમત કરીને માંડ માંડ બે વર્ષ અહીં કાઢ્યા.
મારા કરિયાવરની બધી વસ્તુઓ, દાગીનાને લઈ જજો... મારા મમ્મીએ તો મને સારા સંસ્કાર દીધા છે, મારા મમ્મીની મજબૂરી છે કે મારા પપ્પા નથી એટલે ઈ એકલા રહે છે. મારા સસરા મને એવા મેણાં મારે છે કે એની મા એકલી રહે છે ને સંસ્કાર નથી દીધા. આવા સાસુ ને સસરા ભગવાન કોઈને પણ ના આપે”
રાજલને સતત માનસિક ત્રાસ અપાતો હતો
સ્યુસાઈડ નોટમાં રાજલે સાસુ સસરા સાથે બે નણંદ નિશાબા અને પૂજાબાના સતત માનસિક ત્રાસના લીધે મરતી હોવાનું લખેલું છે. રાજલની માતાએ જણાવ્યું કે સાસરિયા તેને દાગીના પહેરવા દેતા નહીં. રાજલને પિયરમાંથી અલગ અલગ વસ્તુઓ લઈ આવવા માટે માંગણી કરીને સતત માનસિક ત્રાસ આપતા હતા. ઘટના અંગે અંજાર DySPએ રાજલના કાકા વિજયસિંહે આપેલી ફરિયાદના આધારે રાજલના સાસુ સસરા અને બે નણંદો સામે મરવા માટે મજબૂર કર્યા અંગેની કલમો તળે ફરિયાદ દાખલ કરી છે.
Share it on
|