|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના ભીરંડિયારા ગામ નજીક ભંડારી વાંઢના યુવકને મરવા માટે મજબૂર કરવાના ગુનામાં પકડાયેલાં ૪ આરોપીની નિયમિત જામીન અરજી અને એક આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ગત ૧૧-૧૨ જૂનની રાત્રે ભંડાર વાંઢના ૨૩ વર્ષિય રઝાક વલીમામદ રાયશીએ વીજ થાંભલા પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મરતાં અગાઉ રઝાકે લખેલી મરણચિઠ્ઠી તેના તકિયા નીચેથી મળી આવેલી. રઝાકને નજીકના સંબંધીની દીકરી જોડે પ્રેમ સંબંધ હતો. ૮ એપ્રિલના રોજ તે યુવતીને ભગાડીને બાડમેર લઈ ગયેલો. અહીં બેઉ જણે મનમરજીથી મૈત્રી કરાર અને બાદમાં નિકાહ કરેલાં.
બેઉના સામાજિક રાહે નિકાહ કરાવવાનું વચન આપીને સંબંધીઓ યુગલને પરત કચ્છ લઈ આવેલાં. ત્યારબાદ આરોપીઓના કહેવાથી રઝાક પર યુવતીએ આદિપુરમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલી. આ ગુનામાં રઝાકની ધરપકડ થઈ અને જેલમાં ધકેલાયો તે સમયે આરોપીઓએ યુવતીની ભંડારી વાંઢના અન્ય યુવક જોડે શાદી કરાવી લીધી હતી.
એટલું જ નહીં, રઝાકને મારી નાખવાની ધમકીઓ આપવા માંડેલાં. જેનાથી કંટાળીને રઝાકે આત્મહત્યા સુધીનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ ગુનામાં પકડાયેલાં ઈશાક સુમાર રાયશી, જામીન સુમાર રાયશી, ગુલાબી રમજાન રાયશી અને દરિયા ગુલાબી રાયશીએ કૉર્ટમાં કરેલી નિયમિત જામીન અરજી ચોથા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ રીજેક્ટ કરી દીધી છે.
ગુનો દસ વર્ષની કેદની સજાને પાત્ર સેશન્સ ટ્રાયેબલ ગંભીર ગુનો હોવાનું તેમજ આરોપીઓ અને ફરિયાદીના પરિવારો એક જ ગામના રહેવાસી હોઈ જામીન પર છૂટ્યાં બાદ તકરારો થવાની તથા સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડાં થવાની આશંકા દર્શાવીને કૉર્ટે ચારેયની જામીન અરજી ફગાવી દીધી છે.
બીજી તરફ, આ કેસના પાંચમા આરોપી કમાલશા અલીશા સૈયદે ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી પણ જજ રાડિઆએ રીજેક્ટ કરી દીધી છે.
Share it on
|