કચ્છખબરડૉટકોમ, દુધઈઃ ભુજ ભચાઉ હાઈવે પર મોરગર ગામના પાટિયા પાસે આવેલી નેશનલ હોટેલના માલિક, તેના પુત્ર અને કૌટુંબિક ભાઈ સહિત ત્રણ જણાં પર ત્રિપુટીએ છરીથી હુમલો કરીને હોટેલ માલિક ઉમરભાઈ આદમ રાયમાની હત્યા કરી નાખી છે. ત્રિપુટી પૈકીના મુખ્ય શખ્સે એક માસ અગાઉ હોટેલ પર આવેલા પાનના ગલ્લા પરથી પાન મસાલા ખરીદી તેના પૈસા ના આપતાં ઝઘડો થયેલો. તેની અદાવતમાં તેણે અન્ય બે સાગરીતોને સાથે રાખી હુમલો હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.
જાણો, કોની કોની સામે નોંધાયો ગુનો
મોરગર રહેતા ૪૫ વર્ષિય મહેબુબ રમજુ રાયમાએ બનાવ અંગે નરેન્દ્રપુરી ભીખાપુરી ગોસ્વામી (રહે. સુંદરપુરી, પ્રાથમિક શાળા પાસે, ગાંધીધામ), કલ્પેશપુરી વિશનપુરી ગોસ્વામી (રહે. મોટી હમીરપર, રાપર) અને તેમની સાથે રહેલા ત્રીજા અજાણ્યા સાગરીત મળી ત્રણે સામે દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
એક માસ જૂની અદાવતમાં કર્યો હુમલો હત્યા
નરેન્દ્ર અને કલ્પેશ અવારનવાર હોટેલ પર જમવા આવતાં હતા. ફરિયાદી પણ તેમને ઓળખતો હતો. એકાદ માસ અગાઉ નરેન્દ્ર હોટેલ પર જમવા આવેલો અને તે સમયે પાનનાં ગલ્લા પરથી પાન મસાલા ખરીદીને પૈસા ના ચૂકવતાં ઝઘડો થયેલો. જેથી, હોટેલ માલિક ઉમર રાયમાના પુત્ર સિકંદરે તેને હોટેલ પરથી હાંકી કાઢેલો.
આ બનાવનો ખાર રાખીને ગઈકાલે રાત્રે સાડા દસના અરસામાં નરેન્દ્ર તેના સાગરીત કલ્પેશ અને અજાણ્યા શખ્સને લઈને હોટેલ પર આવ્યો હતો.
તેમણે ગલ્લાવાળા જોડે માથાકૂટ કરીને, તેના ફોન પરથી સિકંદરને જાણ કરીને સિકંદરને હોટેલ પર બોલાવ્યો હતો. સિકંદર હોટેલ પર આવતાં ત્રણે જણે તેને લાફો મારી, છરી કાઢતાં સિકંદર ડરી ગયો હતો અને ગભરાઈને નાસી ગયો હતો.
ફરિયાદી સમજાવટ કરવા ગયો તો માથામાં છરી ઝીંકી
સિકંદર જોડે માથાકૂટ થઈ હોવાની જાણ થતાં કૌટુંબિક ભાઈ મહેબુબ રાત્રે હોટેલ પર દોડી ગયો હતો. તેણે સિકંદરને બોલાવી બબાલનું કારણ જાણ્યું હતું. ત્રણે જણાં તે સમયે હોટેલ નજીક આવેલી ગેરેજ પાસે નંબર પ્લેટ વગરની પલ્સર લઈને ઊભાં હતાં. મહેબુબે તેમની પાસે જઈને સમજાવટના સૂરમાં ‘શું કામ કારણ વગર ઝઘડો છો? જમવા આવ્યાં છો તો જમીને જતાં રહો’ કહેતાં ત્રણે જણાંએ ઉશ્કેરાઈને મહેબુબને ગાળો ભાંડી, બબાલ કરીને માથામાં છરીથી વાર કર્યો હતો.
હોટેલ માલિક વચ્ચે પડ્યો તો છરી મારી હત્યા કરી
ઈજાથી મહેબુબે રાડારાડી કરતા તેના મોટા બાપુનો દીકરો અને હોટેલ માલિક ઉમર રાયમા તેને બચાવવા દોડી આવ્યો હતો. આ સમયે, નરેન્દ્ર અને અજાણ્યા શખ્સે ઉમર રાયમાને પકડી રાખેલ અને કલ્પેશ ગોસ્વામીએ ઉમર રાયમાની છાતીમાં જમણી બાજુ છરી ભોંકી દીધી હતી. ગંભીર ઈજાથી ઉમરભાઈ નીચે ઢળી પડ્યાં હતાં.
ત્રણે આરોપીઓ બાઈકને સ્થળ પર મૂકીને નાસી છૂટ્યાં હતાં.
ઉમરભાઈને સૌપ્રથમ ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયાં હતાં. જો કે, ગંભીર ઈજાથી થોડાંક કલાકમાં જ તેમનું મૃત્યુ નીપજી ગયું હતું. માથામાં છરીથી હુમલાના કારણે મહેબુબને આઠ ટાંકા લેવા પડ્યાં છે. બનાવ અંગે દુધઈ પોલીસે ત્રણે સામે હત્યા હુમલાનો ગુનો નોંધી પીઆઈ આર.આર. વસાવાએ તપાસ શરુ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય સૂત્રધાર નરેન્દ્ર ગોસ્વામીને પોલીસે દબોચી લીધો છે.
Share it on
|