|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ કચ્છખબરડૉટકોમ, અંજારઃ ભુજમાં એકલવાયું જીવન જીવતાં વૃધ્ધની હત્યાની ચકચાર હજુ શમી નથી ત્યાં બીજા દિવસે અંજારમાં હત્યાનો બનાવ બન્યો છે. અંજારના આશાબા વે બ્રિજ પાસે આવેલા મોડર્ન ગેરેજમાં યુવકે મેનેજરની હત્યા કરી નાખી છે. આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ગેરેજમાં હાજર અન્ય લોકોની હાજરીમાં બનાવ બન્યો હતો.
આરોપી દીપક મહેશ્વરી અગાઉ ગાંધીધામમાં આ જ ગેરેજમાં કામ કરતો હતો ત્યારે તેને મેનેજર પરેશ સોરઠીયા (ઉ.વ. ૪૨, રહે. નાગલપર, અંજાર) સાથે મતભેદો અને માથાકૂટ સર્જાઈ હતી.
નગરપાલિકાએ દબાણો હટાવતાં ગેરેજ અંજારમાં શરૂ કરાયું હતું. જૂની અદાવતને ધ્યાને રાખીને આજે બપોરે દીપકે ગેરેજ પર આવીને પરેશ જોડે ઝઘડો કરેલો.
આવેશમાં આવીને દીપક અચાનક પરેશની સાથળમાં છરીનો ઊંડો ઘા ઝીંકીને પરેશ નાસી ગયો હતો. છરીના ઘાથી ઘોરી નસ કપાઈ ગઈ હતી.
ઘટના અંગે અંજાર પોલીસે હત્યાની કલમો તળે ગુનો નોંધી પીઆઈ એચ.એ. જાડેજાએ ફરાર દીપકને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યાં છે.
Share it on
|