|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ કચ્છખબરડૉટકોમ, અંજારઃ ભુજમાં એકલવાયું જીવન જીવતાં વૃધ્ધની હત્યાની ચકચાર હજુ શમી નથી ત્યાં બીજા દિવસે અંજારમાં હત્યાનો બનાવ બન્યો છે. અંજારના આશાબા વે બ્રિજ પાસે આવેલા મોડર્ન ગેરેજમાં યુવકે મેનેજરની હત્યા કરી નાખી છે. આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ગેરેજમાં હાજર અન્ય લોકોની હાજરીમાં બનાવ બન્યો હતો. આરોપી દીપક મહેશ્વરી અને મરનાર પરેશ વિશ્રામભાઈ માલસત્તાર (સોરઠીયા) (ઉ.વ. ૪૨, રહે. નાગલપર, અંજાર) અગાઉ ગાંધીધામમાં રીયલ મોટર્સ ગેરેજમાં સાથે નોકરી કરતાં હતા. નગરપાલિકાએ દબાણો હટાવતાં આ ગેરેજ બંધ થઈ ગયેલું. જેથી, પરેશે મુંદરામાં નવું ગેરેજ ચાલુ કરવાનું નક્કી કરેલું. આ માટે તે અંજારના આશાબા વે બ્રિજ પાસે આવેલા કૌટુંબિક મામા દિનેશભાઈ હડીયાના મોડર્ન ગેરેજ પર મામાનું ગેરેજ જોવા અને તેમની સલાહ લેવા આવ્યો હતો. પરેશ મામાના ગેરેજને જોતાં જોતાં તેમની જોડે વાતો કરતો હતો તે સમયે અચાનક દીપક ત્યાં આવી ચઢ્યો હતો. તેણે પરેશ જોડે બોલાચાલી કરેલી.
આવેશમાં આવીને દીપક અચાનક પરેશની સાથળમાં છરીનો ઊંડો ઘા ઝીંકીને નાસી ગયો હતો. છરીના ઘાથી ઘોરી નસ કપાઈ ગઈ હતી.
છરી માર્યાં બાદ દીપક તેની બાઈકને ગેરેજ પર જ રાખીને નાસી ગયો હતો. પરેશને તત્કાળ હોસ્પિટલમાં લઈ જવાયેલો પરંતુ છરીનો ઘા જીવલેણ નીવડેલો. હત્યારા અને મરનાર વચ્ચે કઈ બાબતને લઈ અણબનાવ હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પરેશના મામાએ આપેલી ફરિયાદ નોંધી પીઆઈ એચ.એ. જાડેજાએ ફરાર દીપકને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યાં છે.
(updated @24:00 IST on 11th Apr 2026)
Share it on
|