|
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરના શિણાય નજીક નિર્જન જગ્યાએ પાણી ભરેલાં ખાડામાં ધક્કો મારીને પ્રેમીએ પ્રેમિકાને ડૂબાડી દઈને હત્યા કરી હોવાનો બનાવ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. હત્યા બાદ ખુદ પ્રેમીએ પ્રેમિકાના પુત્રને ફોન કરીને તેની મમ્મી પાણી ભરેલાં ખાડામાં પગ ધોવા જતાં અચાનક પડી ગઈ હોવાની જાણ કરેલી. ગાંધીધામની નવી સુંદરપુરીમાં રહેતા ૩૮ વર્ષિય અરવિંદ કરસનજી રાણાએ પોતાની પત્ની દેવીની હત્યા બદલ પડોશમાં રહેતા વિજય રમેશભાઈ ભીલ વિરુધ્ધ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ૨૦ વર્ષ અગાઉ અરવિંદના ગાંધીધામના ભારતનગરમાં રહેતી દેવી મનજીભાઈ ભીલ સાથે લગ્ન થયેલાં. લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે પુત્રો જન્મેલાં.
અરવિંદે પોલીસને જણાવ્યું કે પડોશમાં રહેતો વિજય ભીલ લાંબા સમયથી તેની પત્ની પાછળ પડી ગયેલો. ત્રણ ચાર માસ અગાઉ તેના ત્રાસથી કંટાળીને દેવીએ દવા પણ પી લીધી હતી. તે સમયે દેવીએ પતિ અને ભાઈને વિજય તેને હેરાન કરતો હોવાનું જણાવેલું.
આ બાબતે સૌએ વિજયને ઠપકો આપેલો. અરવિંદ આજે સવારથી મજૂરી કામે નીકળી ગયેલો. બપોરે ગમે તે કારણોસર દેવી વિજય જોડે ગયેલી.
સાંજે ચાર વાગ્યે વિજયે સૌથી મોટા દીકરા અલ્પેશને ફોન કરીને જણાવેલું કે ‘તારી મમ્મી અંજારથી શિણાય જતા રોડ પર પાણી ભરેલા ખાડામાં પગ ધોવા જતાં પડી ગઈ છે’
વિજયે જાણ કરતા પુત્ર અલ્પેશ તરત મોટર સાયકલ લઈને સ્થળ પર દોડી આવ્યો હતો. પરંતુ માતા જોવા મળી નહોતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં લાશ્કરોએ આવીને લાશને પાણી ભરેલાં ખાડામાંથી બહાર કાઢી હતી. વિજયે જ પત્નીને ધક્કો મારીને પાણી ભરેલા ખાડામાં નાખી દઈને મારી નાખી હોવાની શંકા અને આરોપ સાથે અરવિંદે ફરિયાદ નોંધાવી છે. આદિપુર પીઆઈ એમ.સી. વાળાએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી વિજય પણ પરિણીત છે.
Share it on
|