|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ મુંબઈ રહેતા જમીન માલિકની જાણ બહાર, અંજારના વરસામેડીમાં આવેલી મૂલ્યવાન જમીનના બોગસ દસ્તાવેજો બનાવી બારોબાર વેચી ખાવાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી ફરાર કુખ્યાત શખ્સની આગોતરા જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ગુનાનો સૂત્રધાર જગો પચાણ રબારી લાંબા સમયથી નાસતો ફરે છે. આ કેસમાં અન્ય આરોપીઓ પકડાઈ ગયાં, નિયમિત જામીન પર છૂટી ગયાં બાદ જગાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરેલી. વરસામેડીની રેવન્યૂ સર્વે નંબર ૨૨૨/૧ અને ૨૬૮વાળી જમીનના મુંબઈ વસતાં માલિકની જાણ બહાર જગાએ બોગસ પાવરનામાના આધારે દલાલ બનીને અરજણ રત્ના રબારીને ૯૦ લાખમાં જમીન વેચવાનો કારસો ઘડેલો.
સહઆરોપી દિનમામદ કાસમા રાયમા સાથે મળીને જગાએ બોગસ આધાર કાર્ડ, પાનકાર્ડ, પાવરનામાના આધારે ૪૦ લાખ રૂપિયા મેળવીને અરજણની તરફેણમાં વેચાણ દસ્તાવેજ લખાવી આપેલો.
જો કે, સબ રજિસ્ટ્રારની સતર્કતાથી તેમનું કાવતરું પાધરું થઈ ગયેલું. ગુનામાં જગાની મુખ્ય ભૂમિકા હોવાનું અને લાંબા સમયથી નાસતો ફરતો હોવાનું જણાવીને અંજારના પાંચમા અધિક સેશન્સ જજ જયેશ એલ. ચોવટીયાએ જગાની અરજી ફગાવી દેતા પોલીસ માટે તેની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે જગા સામે અગાઉ પણ જમીન દબાણ, પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાથે માથાકૂટ, લોકો પર હુમલા કરવા સહિતના અસંખ્ય ગુના નોંધાયેલાં છે.
Share it on
|