|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડી નજીક આવેલી બાપુ કોલોની (આશાપુરા કોલોની)માં ગત રાત્રે નજીવી બાબતે ૨૮ વર્ષિય યુવકને છરી વડે પડોશની ઓરડીમાં રહેતા યુવકે રહેંસી નાખ્યો છે. પોલીસે ઘટના અંગે હત્યાની કલમો તળે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ગત રાત્રે ૧૧.૩૦ના અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો. મરણ જનાર સંજયસિંહ પપ્પુસિંહ ગૌડ (મૂળ રહે. શહડોલ, મધ્યપ્રદેશ)ને નજીકની ઓરડીમાં રહેતા અરવિંદ નામના યુવકે છરી વડે ચહેરા, ગળા, છાતીમાં વાર કરીને હત્યા કરી નાખી હતી. હુમલાના પગલે કોલોનીમાં રાડારોડ મચી ગઈ હતી. જેના પગલે કોલોનીની પાછળની લાઈનમાં રહેતી મૃતક સંજયસિંહની પિતરાઈ બહેન રિન્કીસિંહ બહેગા સ્થળ પર દોડી આવી હતી. પોલીસને તેણે જણાવ્યું કે ઘર બહાર જમીન પર લોહીલુહાણ હાલતમાં સંજય પડ્યો હતો.
મારા ભાઈને કોણે માર્યો?’ તેવું પૂછતાં પડોશની ઓરડીમાં હાજર રહેલા અરવિંદે જવાબ આપેલો કે ‘મેં માર્યો છે. સંજયે મારી મોટર સાયકલ પર પેશાબ કરેલો એટલે મેં તેને મારી નાખ્યો છે’
સ્થળ પર હાજર લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સંજયને અંજાર સરકારી હોસ્પિટલમાં ખસેડેલો પરંતુ તબીબોએ તેને સારવાર પૂર્વે મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ અરવિંદ ફરાર થઈ ગયો હતો.
મરનાર સંજયસિંહ વેલસ્પન કંપનીમાં મજૂરી કરતો હતો. તેની પત્ની પરિવાર એકાદ માસ અગાઉ વતન ગયાં હોઈ હાલ તે ઓરડીમાં એકલો રહેતો હતો. આરોપી યુપીનો વતની છે અને તે પણ વેલસ્પનમાં મજૂરી કરે છે.
મોડી રાત્રે રિન્કીસિંહે અરવિંદ વિરુધ્ધ હત્યાની કલમો તળે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઈ એચ.એ. જાડેજાએ તપાસ હાથ ધરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હત્યારો અરવિંદ પોલીસની હાથવેંતમાં છે.
Share it on
|