click here to go to advertiser's link
Visitors :  
07-Jun-2025, Saturday
Home -> Vishesh -> West Kutch Police Now Trying To Damage Controll Its Image Read more
Friday, 06-Jun-2025 - Bhuj 3839 views
બોલો! ૧૦ લાખની ઠગાઈ કરનાર ચીટરો બચી ગયાં પણ રીલ્સ મૂકનારા બીજા અડફેટે ચઢી ગયાં!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોલકાતાના યુવકને એકની સામે ત્રણગણાં રૂપિયા આપવાની લાલચે ભુજ બોલાવીને દસ લાખ રૂપિયા પડાવી લેનારાં રીઢા ચીટરો અને તોડબાજ પોલીસ કર્મચારીને કોઈ ગુનો નોંધ્યા વગર જવા દેવાના બનાવે કચ્છમાં ભારે ચકચાર સર્જી છે. તે વચ્ચે એસઓજીએ સોશિયલ મીડિયા પર રૂપિયાના બંડલોની રીલ્સ મૂકીને લોકોને એકના ત્રણ કે ચાર ગણાં નકલી રૂપિયાની નોટો આપવાની રીલ્સ પોસ્ટ કરનાર ભુજના અબ્દુલ રઝાક રાયમા અને ફૈઝલ ફિરોજ મોગલ નામના કેમ્પ એરિયાના બે યુવકો સામે ગુનો નોંધી અટક કરી છે.

એસઓજીએ આ યુવકોની જાળમાં કોઈ સપડાય તે પહેલાં એટલે કે ગુનો બને તે પહેલાં પ્રિવેન્ટીવ એક્શન લીધાં છે તે આવકારદાયક છે. પોલીસનું તે કામ પણ છે. પરંતુ, જો દસ લાખ રૂપિયાની ઠગાઈ આચરાયાં બાદ એટલે કે ગુનો બન્યાં બાદ રીઢા ચીટરો અને તેમાંય પાછું તોડ કરનારા પોલીસ કર્મચારીઓને બક્ષી દેવાય તો તે અત્યંત ગંભીર બાબત છે. તેમાં પણ કોઈ નેતાજીના ઈશારે ગુનેગારોને સરળતાથી બક્ષી દેવાયાં હોય તો તે વધુ ગંભીર સ્કૅમ તરફ ઈશારો કરે છે.

દસ લાખની ઠગાઈ કરનારાને કેમ બક્ષી દેવાયાં?

કાયદો કહે છે કે જો પોલીસના કાર્યક્ષેત્રનો કે પોલીસ અધિકારનો કોઈ ગુનો બને તો પોલીસે તેમાં તત્કાળ ફરિયાદ દાખલ કરવી. આવી ફરિયાદ દાખલ ના કરનાર અથવા વિલંબ કરનાર પોલીસ કર્મચારી સામે ફરજચૂક જેને અંગ્રેજીમાં બર્કિંગ કહેવાય છે તે બદલ તથા ગેરકાદે રીતે રૂપિયા પડાવવા બદલ ગુનો દાખલ કરવો જ પડે.

તપાસમાં બહાર આવે તો કોઈ ફરિયાદ કરે કે ના કરે, પોલીસે સ્વયં સરકાર તરફે ફરિયાદ દાખલ કરવી પડે. એ  જ રીતે, કોઈની સાથે દસ લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોય તો પોલીસ વિધિવત્ ફોજદારી ફરિયાદ દાખલ કર્યાં વગર કદાપિ ગુનેગારોનો બારોબાર સંપર્ક કરીને તે રૂપિયા પરત મેળવી ના શકે.

આ કાર્યવાહી પણ પોલીસની ફરજચૂકનો ગુનો બને છે. આ બનાવના પગલે સવાલ એ ઉઠે છે કે, શું કોઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ એકલાંની હિંમત થાય કે તે દોઢ લાખ રૂપિયાનો તોડ કરી ફરિયાદ દાખલ ના કરે? શું પોલીસે ધાર્યું હોત તો ચીટરો સામે વિધિવત્ ગુનો દાખલ કરીને રૂપિયા રીકવર ના કરી શકી હોત?

કોલકતાના યુવક સાથે દસ લાખની ઠગાઈ કરનારાં રીઢા ચીટરો કોણ હતાં? રીઢા ચીટરો અને તોડબાજ પોલીસ કર્મચારીઓ સામે કોઈ ગુનો દાખલ ના કરવા સૂચના આપનારો ભુજનો કયો રાજકારણી નેતા હતો?

શું આ નેતા આવી ચીટર ગેંગો પાછળ રહેલો અસલી સૂત્રધાર છે? શું આવી ગેંગોના સહારે જ એક સમયે એસટીમાં અપડાઉન કરતો આ નેતા એક દાયકામાં કરોડો રૂપિયા બનાવીને તેમાં આળોટી રહ્યો છે? ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરતાં મુખ્યમંત્રી, વડા પ્રધાન, ગૃહ મંત્રી, ડીજીપી વગેરે બધા આ ગંભીર બાબતે મૌન કેમ છે?

Share it on
   

Recent News  
માંડવીમાં શેઠના ઘરમાં હાથ મારનાર નોકરને LCBએ ભુજમાંથી ૪.૭૦ લાખ સાથે ઝડપ્યો
 
પાણીની મોટર બંધ કરવા મુદ્દે પડાણાના બેન્સૉમાં બે મજૂરોની મારામારીમાં એકની હત્યા
 
અંજારઃ બે સ્પાની ધંધાકીય અદાવતમાં સ્પાની મેનેજર યુવતી પર ઍસિડ અટેક સાથે છેડતી