click here to go to advertiser's link
Visitors :  
06-Jun-2025, Friday
Home -> Vishesh -> How West Kutch SP overlooks such a serious offence of fraud and burking Read more
Wednesday, 04-Jun-2025 - Bhuj 8189 views
ભુજના વિવાદાસ્પદ કોન્સ્ટેબલ જેન્તીને સસ્પેન્ડ કરવાના બદલે નરામાં કેમ બદલી થઈ?
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતાં હેડ કોન્સ્ટેબલ જેન્તી મહેશ્વરીની રાતોરાત નરા પોલીસ મથકમાં બદલી કરી દેવાઈ છે. ભુજની સસ્તાં સોનાની ગેંગે કોલકતાના એક યુવક જોડે દસ લાખ રૂપિયાની કરેલી ઠગાઈના બનાવમાં જેન્તીએ વિધિવત્ એફઆઈઆર દાખલ કરવાના બદલે ગમે તે હેતુથી ચીટરોનો સંપર્ક કરીને દોઢ લાખ રૂપિયાનો મેળ કરેલો!

આ એ જ વિવાદાસ્પદ જેન્તી છે કે જેણે અગાઉ LCBમાં ફરજ દરમિયાન જેન્તી ભાનુશાલી મર્ડર કેસમાં વપરાયેલું બાઈક જાણે અજાણ્યે શાર્પ શૂટરોને પહોંચાડ્યું હતું. એટલું જ નહીં, અગાઉ માધાપરમાં એક મુસ્લિમ યુવકે રબારી યુવકની કરેલી હત્યા અને તે પ્રકરણે સીઆઈડી ક્રાઈમે કરેલી તપાસમાં પણ જેન્તીની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી હતી. આ તો, પ્રકાશમાં આવેલા બનાવો છે.

ભુજ એ અને અગાઉ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતી સમયે પણ જેન્તી સામે અનેક રાવ ઉઠી હોવાનું સૂત્રો જણાવે છે.

માધાપરમાં ગંગેશ્વર રોડ પર કથિત રીતે ગેરકાયદે સરકારી જમીન વાળી લઈને તેમાં સ્વિમીંગ પુલ સહિતની સુવિધા ઊભી કરીને મજા માણતાં જેન્તીને કચ્છના બની બેઠેલાં રાજકીય મોટાભાનું પીઠબળ હોવાની ચર્ચા છે. વડા પ્રધાન ભુજની મુલાકાતે આવ્યાં તેના થોડાં દિવસ અગાઉ કોલકતાનો એક યુવક ભુજ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસ મથકમાં હાજર જેન્તી મહેશ્વરીને તેણે ‘એક કા તીન’ના નામે કેટલાંક ચીટરોએ દસ લાખ રૂપિયા પડાવી લીધાં હોવાનું જણાવ્યું હતું. જેન્તીએ ફરજના ભાગરૂપે તત્કાળ ફરિયાદ દાખલ કરવાના બદલે ચીટરોનો સંપર્ક કરીને, વાટાઘાટો કરીને, ચીટરો પાસેથી મળતિયા માણસ મારફતે દોઢ લાખ રૂપિયાનો મેળ કર્યો હતો. .

ફરિયાદ દાખલ ના થતાં યુવક એસપીને મળેલો. એસપીએ લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપતા જેન્તીની આ કરામત બહાર આવી હતી. જો કે, એલસીબીએ પણ વિધિવત્ ફરિયાદ નોંધવાના બદલે ચીટરો પર બારોબાર ધોંસ વધારતાં ચીટરો સાડા આઠ લાખ રૂપિયા પાછાં આપી ગયાં હતાં.

જેન્તીએ પણ ચીટરો પાસેથી મેળ કરેલાં દોઢ લાખ ભોગ બનનાર યુવકને પહોંચાડીને દસ લાખની રકમ પૂરી કરી આપેલી.

પૂરેપૂરાં રૂપિયા મળી જતાં કોલકત્તાના યુવકને હાશકારો થયો હતો. આઘાતજનક બાબત એ છે કે પોલીસે ગુનો કરનારાં ચીટરો સામે કોઈ ફરિયાદ જ દાખલ ના કરી! .

એફઆઈઆર દાખલ કરવાના બદલે બારોબાર દોઢ લાખ રુપિયાનો મેળ કરનારાં જેન્તીની શિક્ષાના ભાગરૂપે બે દિવસ અગાઉ નરામાં બદલી કરી દેવાઈ.

ખરેખર તો બર્કિંગ (ફરજચૂક) અથવા લાંચરૂશ્વતના સંભવિત ગુના બદલ વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતા જેન્તીને સસ્પેન્ડ કરવાનો હોય તેના બદલે SPએ તેની નરામાં બદલી કરીને સંતોષ માની લીધો! પોલીસે ગુનો દાખલ ના કરવાનો પ્રશ્ન ભવિષ્યમાં ઊભો ના થાય તે હેતુથી કોલકતાની પાર્ટી જોડે મારે કોઈ ફરિયાદ કરવી નથી તે મતલબની અરજી લખાવી લીધી છે!  

ગુજરાતના ગૃહ મંત્રી અને રાજ્ય પોલીસ વડા આવી બાબતોને ગંભીર ગણી કોઈ એક્શન લે છે કે કેમ તે હવે જોવું રહ્યું.
Share it on
   

Recent News  
અંજારઃ બે સ્પાની ધંધાકીય અદાવતમાં સ્પાની મેનેજર યુવતી પર ઍસિડ અટેક સાથે છેડતી
 
એક કા તીનની લાલચે સુરતના યુવકને ગાંધીધામ બોલાવી પચાસ હજારનો ચૂનો ચોપડાયો
 
અંજાર નજીક બે બાઈક અને કાર વચ્ચે ટ્રીપલ ઍક્સિડેન્ટઃ માતા પુત્રના મોતઃ ૫ ગંભીર