|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કાગળ પર ૯ બોગસ કંપનીઓ ઊભી કરીને, તેને ડામર (બિટુમીન) સપ્લાય કરી ૯.૭૦ કરોડની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી સરકારી તિજોરીને મોટો ધુંબો મારનાર ગાંધીધામની કંપનીના બે ડિરેક્ટરની આગોતરા જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. વડોદરાના હાલોલ નજીક ડામર પ્લાન્ટ ધરાવતી ગાંધીધામની સાલાસર પેટ્રો વર્લ્ડલિન્ક પ્રા.લિ.ના બે ડાયરેક્ટરો વિરુધ્ધ ડિરેક્ટર જનરલ ઑફ GST ઈન્ટેલિજન્સ, ગાંધીધામ યુનિટ ૨૦૨૩થી ગુનો નોંધી તપાસ કરી રહ્યું છે. ૨૦૨૩માં નોંધાયેલા ગુના અન્વયે કંપનીના ડિરેક્ટર અશોક નરેશ ગોયલ અને વિનોદકુમાર પ્રેમચંદે પંકજ ટ્રેડર્સને ઈસ્યૂ કરેલાં ઈન્વોઈસના આધાર પર, માલની વાસ્તવિક લેતી-દેતી વગર કેવળ કાગળ પર ટ્રાન્ઝેક્શન દર્શાવીને ૧.૭૫ કરોડની ITC મેળવી હતી.
કૌભાંડ બહાર આવ્યાં બાદ કંપનીએ વ્યાજ અને પેનલ્ટી સાથે સરકારમાંથી મેળવેલી રકમ પરત ભરપાઈ કરી દીધી હતી.
DGGIની ગહન તપાસમાં આ કંપનીએ અસ્તિત્વમાં ના હોય તેવી કાગળ પર ઊભી કરાયેલી ૯ બોગસ કંપનીઓને માલ સપ્લાય કર્યો હોવાનું દર્શાવીને ITC પેટે સરકારના વધુ ૯.૭૦ કરોડ રૂપિયા હજમ કરી ગઈ હોવાનું પણ ખૂલ્યું હતું. DGGIએ કંપનીના બેઉ ડિરેક્ટર્સને બિલ્ટી અને ઈ-વે સહિતના માલ પરિવહનના દસ્તાવેજો, વજનકાંટાની પાવતીઓ, ઈન્વોઈસ સહિતના આધાર પુરાવા માગેલા પરંતુ કંપની રજૂ કરી શકી નહોતી.
DGGIની તપાસમાં આ નવ કંપનીઓ કેવળ ITC મેળવવા માટે કાગળ પર ઊભી કરાયેલી હોવાનું સ્પષ્ટ થયેલું.
આ ગુનામાં પોતાની ધરપકડ થવાની દહેશત સાથે બેઉ જણે ગાંધીધામ સેશન્સ કૉર્ટમાં એન્ટીસીપેટરી બેઈલ અરજી ફાઈલ કરેલી. DGGI વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કે.સી. ગોસ્વામીએ સરકારી તિજોરીને ચૂનો ચોપડવા માટેનો આ સુઆયોજીત આર્થિક અપરાધ હોવાનું કહીને આરોપીઓ અગાઉ આ જ પ્રકારના કૌભાંડમાં ઝડપાઈ ચૂક્યાં હોવાનું અને ૧.૭૫ કરોડની ITC સરકારમાં પરત જમા કરાવી હોવાનું જણાવ્યું હતું. જો તેમને જામીન પર છોડાય તો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે તેમ હોવાનું અને પુરાવા સાથે ચેડાં કરી શકે તેવી આશંકા હોવાનું ગોસ્વામીએ ઉમેર્યું હતું. ગાંધીધામના ચોથા અધિક સેશન્સ જજ એ.એમ. મેમણે ગુનાની ગંભીરતા અને પ્રથમદર્શનીય સંડોવણી જોતાં બેઉની અરજી રીજેક્ટ કરી દીધી છે.
Share it on
|