કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૨૦૧૮માં પશ્ચિમ કચ્છ પોલીસની બાર દિવસ સુધી ઊંઘ હરામ કરી દેનારા નખત્રાણાના ચરાખડા ગામના ઝનૂની અને ખૂંખાર અપરાધી કાસમ ઊર્ફે કાસુડો મામદ નોતિયારને પોલીસ પર હુમલાના બે ગુનામાં કૉર્ટે નિર્દોષ છોડી મૂક્યો છે. ૭ વર્ષ અગાઉના ચકચારી બનાવમાં પોલીસે તપાસમાં દાખવેલી નિષ્કાળજી અને પોલીસ કર્મચારીઓની જ જુબાનીમાંથી ઉભરી આવેલાં વિરોધાભાસના પગલે કૉર્ટે તેને નિર્દોષ ઠેરવ્યો છે. જાણો, કાસમની ક્રાઈમ કુંડળી
નખત્રાણાના ચરાખડા ગામના કાસમે ૨૦૦૯માં નખત્રાણામાં ભરબજારે તેના બનેવી ઈબ્રાહિમની હત્યા કરી હતી. બનેવીના હત્યાકેસમાં ૨૦૧૦માં કૉર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. પાલારામાંથી તેને જૂનાગઢ જેલમાં શિફ્ટ કરાયો હતો. દરમિયાન, ૨૫-૧૧-૨૦૧૭ના રોજ પેરોલ રજા મેળવી તે મુક્ત થયેલો અને બાદમાં તે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો.
ભુજમાં ત્રણ પોલીસ કર્મચારી પર છરીથી હુમલો કરેલો
કાસમ ભુજના દિનદયાલનગરમાં રહેતી તેની પ્રેમિકાના ઘેર અવારનવાર આવતો જતો હતો. અહીં રહેતા લતીફ મામદ સોઢા નામના તેના એક મિત્રએ તેની પાસેથી દસ હજાર રૂપિયા ઉધાર લીધા હતા. કાસમે પોતાની પાસે રહેલાં પૈસા ખૂટી પડતાં લતીફ પાસે નાણાં પરત માગ્યા હતા પરંતુ લતીફે ના આપતાં જાન્યુઆરી માસમાં તેણે સૌપ્રથમ લતીફ પર છરીથી હુમલો કર્યો હતો, જે અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં લતીફે ફરિયાદ નોંધાવી હતી.
લતીફ પર હુમલા બાદ કાસમ પોલીસની ‘નજરે’ ચઢ્યો હતો. પોતાની બાતમી પ્રેમિકા આપતી હોવાની શંકા રાખીને ૧૯-૦૧-૨૦૧૮ના રોજ તેણે પ્રેમિકાને ફોન કરીને તેને છરીથી મારી નાખવા તેના ઘેર આવતો હોવાની ધમકી આપી હતી.
પ્રેમિકાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે આ અંગે જાણ કરતાં પોલીસ કર્મચારીઓની એક ટીમ સાંજે સાડા સાત-આઠના અરસામાં કાસમને પકડવા સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસ કર્મચારીઓને જોઈને કાસમે નાસવા પ્રયાસ કરેલો.
ASI અને એક પોલીસ કોન્સ્ટેબલે તેને પકડવા પ્રયાસ કરતાં તેણે બેઉને છરી મારી દીધી હતી. હુમલો જોઈ વચ્ચે પડેલાં ત્રીજા કોન્સ્ટેબલને પણ છરી ઝીંકી કાસમ સ્થળ પરથી નાસી ગયો હતો.
જે અંગે કાસમ સામે પોલીસે સરકાર તરફે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો.
માનકૂવામાં પણ પોલીસ પર હુમલાનો પ્રયાસ કરેલો
નાસતો ફરતો કાસમ ભુજ તાલુકાના વટાછડ ગામની સીમમાં છૂપાયો હતો. તે તેના મામાના ઘેર આવ્યો હોવાની બાતમીના પગલે ૨૭-૦૧-૨૦૧૮ની સાંજે માનકૂવા પોલીસની ટીમે તેના મામાના ઘર નજીક ઘેરો ઘાલ્યો હતો. તે સમયે પણ કાસમ હાથમાં રહેલી ફરસી વડે પોલીસ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરી નાસી છૂટ્યો હતો.
પોલીસે તે સમયે હવામાં એક રાઉન્ડ ફાયરીંગ પણ કરેલું. આ મામલે બીજા દિવસે માનકૂવા પોલીસ મથકે કાસમ સામે પોલીસ કર્મચારીઓની હત્યાના પ્રયાસનો વધુ એક ગુનો દાખલ થયો હતો.
જો કે, તેમાં કોઈ પોલીસ કર્મીને કશી જ ઈજા થઈ નહોતી.
મેગા સર્ચ ઓપરેશન બાદ આ રીતે ઝડપાયેલો
કાસમ ભુજ-નખત્રાણા અને માંડવીના ત્રિભેટે અંદાજે ચાળીસ કિલોમીટરનો પરિઘ ધરાવતાં ડુંગરાળ વિસ્તારમાં છૂપાયો હતો. ઝનૂની કાસમને કોઈપણ ભોગે લેવા ઝડપી લેવા માટે ૩૦-૦૧-૨૦૧૮ના રોજ વટાછડના આ વિશાળ ડુંગરાળ વિસ્તારમાં તત્કાલિન DySP એન.વી. પટેલના નેતૃત્વમાં ભુજ બી ડિવિઝન, માનકૂવા અને ગઢશીશા પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજીના અધિકારીઓ-જવાનો સહિતના એકસો જણનાં કાફલાએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, છતાં તે હાથ લાગ્યો નહોતો.
સમગ્ર પોલીસ તંત્ર આદું ખાઈને તેની પાછળ પડી ગયું હતું.
આખરે, બારમા દિવસે તે માંડવીના ગઢશીશા નજીક મઉં ગામની સીમમાં આવેલા વોકળામાં બાવળની ઝાડીઓમાંથી ઝડપાયો હતો.
તપાસમાં બેદરકારી બદલ કૉર્ટે નિર્દોષ છોડી મૂક્યો
ભુજ અને માનકૂવામાં પોલીસ કર્મચારીઓની હત્યાના પ્રયાસના દાખલ થયેલાં બંને ગુનામાં ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજ વી. વી. શાહે તેને નિર્દોષ છોડી મૂક્યો છે. કૉર્ટમાં ભુજના કેસનો ચુકાદો આપતાં જજ શાહે ચુકાદામાં જે બાબતો નોંધી છે તે તપાસકર્તા પોલીસ અધિકારીએ તપાસમાં દાખલેવી ગંભીર ક્ષતિઓ તરફ નિર્દેશ કરે છે. જે નીચે મુજબ દર્શાવી છે.
♦ભુજના દિનદયાલનગર વિસ્તારમાં કાસમ જ્યારે ત્રણ પોલીસ કર્મચારી પર હુમલો કરી નાસી ગયો ત્યારબાદ ત્રણે પોલીસ કર્મચારીને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. અંદાજે બે કલાક સુધી તેઓ સરકારી હોસ્પિટલમાં રહ્યાં હતા અને બાદમાં ત્રણેને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. કૉર્ટે નોંધ્યું કે સરકારી હોસ્પિટલના તબીબે દાખલ કરેલી એમએલસીના આધારે પોલીસે જાણવાજોગ દાખલ કરેલી છતાં પોલીસે કેસ પેપર્સમાં સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલી એમએલસી, અન્ય હોસ્પિટલમાં રીફર કરવા જરૂરી હોય તે અંગેનું તબીબનો લેખિત અભિપ્રાય રજૂ કર્યો નથી. ગુનો વધુ ગંભીર બતાડવા પોલીસ કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને મરણોન્મુખ નિવેદન લેવાયા હોવાની શક્યતા નકારી શકાય નહીં
♦ગુનો બન્યો તે સમયે સ્થળ પર અંધારું હતું, સ્ટ્રીટ લાઈટ હતી કે નહીં તે બાબતે પોલીસ સાક્ષીઓની ઉલટતપાસમાં વિરોધાભાસ બહાર આવ્યો હતો. બનાવ સમયે સ્થળ પર અન્ય ત્રણ ચાર અજાણ્યા લોકો પણ હાજર હતાં
♦પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં નહોતાં. ઘાયલ પોલીસ કર્મચારીઓના કબજે કરાયેલાં લોહીવાળા અને કપાયેલાં કપડાં, સ્થળ પરથી લેવાયેલાં બ્લડ સેમ્પલ સમયે કરાયેલા પંચનામામાં સહી કરનાર સાક્ષીઓ ઉલટતપાસમાં ફરી ગયેલાં
♦બનાવ બન્યો તે રહેણાંક ઝૂંપડપટ્ટી વિસ્તાર હતો છતાં પોલીસે કેસમાં કોઈ સ્વતંત્ર સાક્ષીની જુબાની લીધી નહોતી. એટલું જ નહીં, પોલીસને જાણ કરનાર કાસુડાની પ્રેમિકાનું નિવેદન લેવાયું હોવા છતાં પોલીસે તેને કૉર્ટમાં સ્વતંત્ર સાક્ષી તરીકે રજૂ કરી નહોતી. જે સાક્ષીઓ રજૂ કરાયાં તે પોલીસ કર્મચારીઓ હતા અને કૉર્ટે તેમને ‘ઈન્ટરેસ્ટેડ વિટનેસ’ ગણાવી સ્વતંત્ર સાક્ષીઓના અભાવની નોંધ કરી હતી
♦આરોપી પકડાયાં બાદ મામલતદાર સમક્ષ કોઈ ઓળખ પરેડ કરાવાઈ નહોતી. પોલીસ કર્મચારીઓની જુબાનીમાં તેમણે અગાઉ આરોપીને જોયો ના હોવાનો વિરોધાભાસ બહાર આવ્યો હતો
♦બનાવ અંગે સ્ટેશન ડાયરીમાં કોઈ એન્ટ્રી કરાઈ નહોતી
♦ કાસમ પોલીસ પર હુમલો કર્યાં બાદ આઠ દસ ફૂટ ઊંચી દિવાલ કૂદીને નાસી ગયો હોવાની બાબતને કૉર્ટે શંકાસ્પદ ગણાવી હતી
♦ખાનગી તબીબે ઉલટતપાસમાં પોલીસ કર્મચારીઓને થયેલી ઈજા સાદી હોવાનું કબૂલ્યું હતું
♦મરણોન્મુખ નિવેદન આપનાર ત્રણે પોલીસ કર્મચારી જીવિત છે ત્યારે તેમનું ડીડી કેવળ ‘પ્રિવિયસ સ્ટેટમેન્ટ’ ગણાય, જેથી કૉર્ટ સમક્ષ તેમણે આપેલી જુબાની જ મહત્વની બની રહે તેવી બચાવ પક્ષના વકીલે મહત્વપૂર્ણ દલીલ કરી હતી
♦અગાઉ ફેબ્રુઆરી માસમાં માનકૂવાના કેસમાં પણ વિરોધાભાસ અને તપાસની ખામીના પગલે કૉર્ટે કાસુડાને નિર્દોષ જાહેર કર્યો હતો
♦ગુનાની તપાસ ભુજ બી ડિવિઝનના તત્કાલિન પીઆઈ જે.એમ. આલે કરી હતી. આ કેસમાં બચાવ પક્ષે સિનિયર એડવોકેટ આર.એસ. ગઢવી, વી.જી. ચૌધરી, વિશ્વા પરમાર, શિવમ સોલંકી, હિતેન ગઢવીએ દલીલો કરી હતી
Share it on
|