|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની માહેશ્વરી હેન્ડલિંગ પેઢીએ જામનગરની શિપીંગ કંપનીઓ પાસેથી જુદી જુદી સેવાઓ લઈને તે પેટે ચૂકવવાનું થતું ૨૦ કરોડ ૫૬ લાખ ૮૫ હજાર રૂપિયાનું પેમેન્ટ નહીં આપીને ઠગાઈ, વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જામનગરની શ્રીજી શિપીંગ ગ્લોબલ લિમિટેડના જોઈન્ટ એમડી જીતેન્દ્ર હરિદાસ લાલ (લોહાણા)એ માહેશ્વરી હેન્ડલિંગના ડાયરેક્ટર ચંદન છગનલાલ માહેશ્વરી વિરુધ્ધ જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની બે કંપની બાર્જ અને ટગ ભાડે આપવાનું તથા તેમાં માલ પરિવહનની સેવા આપે છે.
ફરિયાદીના ગૃપની બે શિપીંગ કંપનીઓ પાસેથી માહેશ્વરી હેન્ડલિંગ પેઢીએ ૨૦૧૯થી ૨૦૨૬ દરમિયાન વિવિધ સેવાઓ મેળવેલી. એટલું જ નહીં, ફરિયાદીની ફાઈનાન્સ કંપનીમાંથી ૨૦૧૯માં અઢી લાખની લોન મેળવેલી. કંપની પાસેથી મેળવેલી સેવાઓ પેટે ચૂકવવાનું થતું પેમેન્ટ માહેશ્વરી હેન્ડલિંગ ચૂકવતી નથી. એટલું જ નહીં, લોનની મુદ્દલ અને વ્યાજ સહિત ૪.૨૬ લાખની રકમ પણ ચૂકવાઈ નથી. આ રીતે, કુલ ૨૦.૫૬ કરોડની રકમ ના ચૂકવાતાં ફરિયાદ નોંધાવાઈ છે.
ગાંધીધામની બેન્કને ૧.૩૦ કરોડનો ચૂનો ચોપડેલો
માહેશ્વરી હેન્ડલિંગ કંપની સામે અગાઉ પણ ગંભીર ફોજદારી ફરિયાદ નોંધાયેલી છે. ૨૦૧૬માં માહેશ્વરી હેન્ડલિંગે ગાંધીધામ મર્કેન્ટાઈલ બેન્કમાંથી ૨.૯૮ કરોડની લોન મેળવી ૯ ડમ્પર ખરીદેલાં. ત્યારબાદ ૧.૩૦ કરોડ રૂપિયાની બાકી રકમ ભરપાઈ ના કરીને બેન્કના તત્કાલિન ક્રેડિટ મેનેજર રવિન્દ્ર કેલા અને તત્કાલિન જનરલ મેનેજર સુરેશ કુંડલિયાની મદદથી લોન ભરાઈ ગઈ હોવાની બેન્કની બોગસ એનઓસી મેળવી, તેના આધારે ૨૦૧૯માં આ ડમ્પરો બારોબાર બીજે વેચી મારેલાં. બેન્કે આરટીઓમાં તપાસ કરતાં આર્થિક કૌભાંડ બહાર આવેલું. જેમાં વંદન છગનલાલ માહેશ્વરી, ચંદન છગનલાલ માહેશ્વરી, તેમની માતા ઈન્દિરાબેન અને બેન્કના બંને પૂર્વ અધિકારીઓ વિરુધ્ધ જૂલાઈ ૨૦૨૨માં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફોર્જરી અને ચીટીંગની કલમો તળે બેન્કે ફરિયાદ નોંધાવી હતી.
Share it on
|