કચ્છખબરડૉટકોમ, ગાંધીનગરઃ 14મી ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્યએ વિધાનસભાના નવનિર્વાચીત ધારાસભ્યોને આજે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલના સાબરમતી કક્ષમાં યોજાયેલી શપથવિધિ બેઠકમાં ધારાસભ્ય તરીકે શપથ લેવડાવ્યા હતાં. શપથવિધિ પૂર્વે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ નીમાબેનને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યાં હતા. બાદમાં નીમાબેનના અધ્યક્ષસ્થાને આયોજીત બેઠકમાં ગૃહના નેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપનેતા નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પ્રથમ શપથ લીધાં હતા. ત્યારબાદ શાસક અને વિપક્ષના સભ્યોએ વિધાયક તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતા. આજથી તમામ ધારાસભ્યો પગાર- ભથ્થાં મેળવવા હક્કદાર બન્યા છે. સામાન્ય રીતે વિધાનસભા ભવનમાં શપથવિધિ યોજાતી હોય છે પરંતુ હાલ ભવનના નવીનીકરણનું કામ ચાલું હોવાથી પહેલીવાર સચિવાલયમાં ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ હતી. ૧૯ ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થવાનું છે તે વખતે ગૃહના અધ્યક્ષની ચૂંટણી થશે. બીજા દિવસે ગૃહમાં બજેટ રજૂ થશે. આજની શપથવિધિમાં 179 ધારાસભ્યોએ વારાફરતી શપથ લીધા હતા. પરંતુ 3 ધારાસભ્ય વિભાવરીબેન દવે, જગદીશ પંચાલ અને પરસોત્તમ સોલંકી વિવિધ વ્યસ્તતાના કારણે હાજર રહી શક્યાં નહોતા. વિભાવરીબેન વિદેશ પ્રવાસે છે.
Share it on
|