SMCમાં પ્રતિનિયુક્ત અંજાર PI પટેલના માતાપિતાની બનાસકાંઠામાં ઘાતકી હત્યાથી ચકચાર
કચ્છખબરડૉટકોમ, પાલનપુરઃ સ્ટેટ મોનિટરીંગ સેલમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી રહેલા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. પટેલના માતા પિતાની તેમના વતનમાં ક્રૂર હત્યા કરી દેવાઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે.
Video :
બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામના વતની પીઆઈ પટેલના માતા પિતા ગામના ખેતરમાં બનાવેલી ઓરડીના આંગણામાં સૂતાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ બેઉની હત્યા કરી નાખી હતી.
ઘટના અંગે જાણ થતાં આગથળા પોલીસ અને બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા સ્થળ પર દોડી ગયાં છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અજાણ્યા શખ્સોએ ચોરી અને લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયારથી બેઉની હત્યા કરી છે. તસ્કરો તિજોરીમાં રહેલી માલમતા સાફ કરી ગયાં છે. હત્યારાઓ ગળા, પગ અને કાનમાં પહેરેલા ઘરેણાં પણ કાપીને લઈ ગયાં છે.
મૃતક વર્ધાજી મોતીજી પટેલ અને હોશીબેન બંને ગત રાત્રે આંગણામાં રાખેલા ખાટલાઓ પર સૂતાં હતા ત્યારે આ બનાવ બન્યો હોવાની પોલીસને આશંકા છે. આ હત્યા ખરેખર ચોરી અને લૂંટના ઈરાદે કરાઈ છે કે કોઈ અન્ય કારણોસર હત્યા કરાઈ ચોરી લૂંટ માટે હત્યા કરાયાનો દેખાવ ઊભો કરાયો છે તે મુદ્દે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પીઆઈ પટેલે થોડાંક દિવસો અગાઉ માંડવી નજીક આવેલા ત્રગડી ગામે રીઢા બૂટલેગરના વિદેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી લાખ્ખોની કિંમતનો શરાબ અને વાહનો જપ્ત કર્યા હતા.