|
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ નખત્રાણાના જતાવીરામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરનારી ૬૦ વર્ષિય મહિલાએ તેના દિયર અને દેરાણીના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગત ૩૧ જૂલાઈના રોજ આઈશુબાઈ સાજન કોલી નામની મહિલા ઘરના મોભમાં સાડીઓ વડે ફાંસો બનાવીને લટકી ગઈ હતી. હતભાગી આઈશુબાઈને સંતાનમાં ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. પાંચમા નંબરનો પુત્ર નારાણ જન્મથી જ શારીરિક અને માનસિક રીતે વિકલાંગ છે. ત્રણે દીકરી પરણીને સાસરે ઠરીઠામ થયેલી અને બે દીકરા મજૂરી અર્થે બીજે ગામ વસવાટ કરે છે. આઈશુબાઈ તેમના પંગુ પુત્ર નારાણ સાથે જતાવીરા ગામે રહે છે. પડોશમાં આઈશુબાઈનો દિયર હમીર રાણા કોલી તેની પત્ની શકીનાબાઈ તથા સંતાનો સાથે રહે છે.
માનસિક શારીરિક વિકલાંગ નારાણ આખો દિવસ જોરજોરથી રાડો પાડતો હોઈ કાકા અને કાકીને તે પસંદ નહોતું. છેલ્લાં ઘણાં મહિનાથી તેઓ આઈશુબાઈને નારાણના લીધે હેરાનગતિ થતી હોવાનું અને ‘તમે અમારી જમીનમાં મકાનમાં બનાવ્યું છે, ખાલી કરીને જતાં રહો’ કહી ઝઘડા કર્યાં કરતા હતા.
તેમના ત્રાસથી દુઃખી મા દીકરા-દીકરીઓને ફોન પર વાતો કરીને વલોપાત વ્યક્ત કરી આ લોકોના ત્રાસથી હું મરી જઈશ તેમ વખતોવખત કહેતી રહેતી હતી. આઠેક માસ અગાઉ ભીખાએ કાકા કાકી માતાને ત્રાસ આપતાં હોવા અંગે નખત્રાણા પોલીસ મથકે અરજી આપેલી.
સાંત્વના આપીને સંતાનો નીકળ્યાં બાદ માનો આપઘાત
૩૦મી જૂલાઈના રોજ હમીર અને શકીનાએ વધુ એકવાર આ જ મુદ્દે ઝઘડો કરેલો. માતાએ રતનાલમાં ખેતમજૂરી કરતાં પુત્ર ભીખાને કૌટુંબિક ભાઈના ફોનથી વાત કરીને વ્યથા ઠાલવતાં ભીખો અને અન્ય ભાઈ ભાંડુઓ બીજા દિવસે સવારે માને સાંત્વના આપવા જતાવીરા દોડી આવેલાં. ભીખાએ કાકા હમીરભાઈને ઠપકો આપતાં તેણે મકાન ખાલી કરીને નહીં જાવ ત્યાં સુધી ત્રાસ આપતા રહીશું, થાય તે કરી લો તેમ નફ્ફટાઈથી જણાવેલું.
માતાને સાંત્વના આપીને સૌ ભાઈ ભાંડુ બપોરે જતાવીરાથી પરત પોત પોતાના ઘેર રવાના થયેલાં. સાંજે તેમને જાણ થયેલી કે માતાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
ભીખા કોલીએ આપેલી ફરિયાદના આધારે પોલીસે હમીર અને શકીના વિરુધ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Share it on
|