|
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ પેટ્રોલમાં ૨૦ ટકા ઈથેનોલની ભેળસેળથી મોંઘાદાટ વાહનોમાં ભયંકર સમસ્યાઓ સર્જાતી હોવાની દેશમાં લાખ્ખો લોકો ફરિયાદો કરી રહ્યાં છે. ત્યારે, નખત્રાણામાં નશેડીઓ નશો કરવા ઈથેનોલને પેટમાં પધરાવતાં હોવાનું બહાર આવ્યું છે! ચાની હોટેલો અને કોલ્ડ્રીંક્સની દુકાનો પર ૬૦ ટકા ડીનેચર્ડ ઈથેનોલ બેઝ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરની પ્લાસ્ટિકની બાટલીઓ નશો કરવા માટે વેચાતી હોવાનું બહાર આવ્યું છે. બાતમીના આધારે નખત્રાણા પોલીસે શહેરના વિશ્વકર્મા માર્કેટમાં બાપા સીતારામ કોમ્લેક્સમાં આવેલી શિવ ઓમ શક્તિ ટી સ્ટૉલ મંગવાણા ચોકડી પાસે આવેલી મન્નત કોલ્ડ્રીંક્સ અને નખત્રાણાના ઓસીપી માર્કેટમાં આવેલી શિવશક્તિ ટી સ્ટૉલ પર દરોડા પાડીને ૧૦૦ એમએલની ૪૦ નંગ બોટલો અને ૪૦૦ એમએલની ૧૧૪ નંગ બોટલો કબજે કરીને પ્રોહિબિશન એક્ટની કલમો તળે ત્રણ ગુના દાખલ કર્યાં છે.
૧૦૦ એમએલની ૪૦ નંગ બોટલો પર Faithic Orange Hand Rub તથા Denatured Ethanol 60% લખેલું છે. જ્યારે, ૪૦૦ એમએલની ૧૧૪ નંગ બાટલીઓ પર કોઈ જ પ્રકારનું લેબલ નથી પરંતુ તેમાંથી પણ દારૂ જેવી એકસરખી તીવ્ર વાસ આવે છે. પોલીસે આરોપી દુકાનદારોની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે નશો કરવાવાળા લોકો દોઢસો અને પોણા બસ્સો રૂપિયામાં આ બાટલીઓ ખરીદે છે. આ બાટલીઓ ગઢશીશાના વિમલસિંહ જાડેજા નામનો શખ્સ સપ્લાય કરતો હોવાનું ખૂલ્યું છે.
પોલીસે કુલ ૨૫ હજાર ૩૫૦ રૂપિયાની કિંમતની ૫૨ લીટરની બાટલીઓ કબજે કરીને જયેશપુરી ગુંસાઈ, મોહમ્મદ જાવેદ અબ્દુલગની ભટ્ટી અને નિકુલ કરસનગીરી ગોસ્વામી નામના ટી સ્ટોલ અને કોલ્ડ્રીંક્સના દુકાનદારો સામે ત્રણ જુદી જુદી ફરિયાદો દાખલ કરી છે. ત્રણેમાં સપ્લાયર તરીકે ગઢશીશાના શખ્સનું નામ દર્શાવાયું છે. પીઆઈ એ.એમ. પટેલે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સમયે પણ ઘણી જગ્યાએ નશો કરવા માટે હેન્ડ સેનિટાઈઝરનો દુરુપયોગ થતો હોવાના કિસ્સા બહાર આવેલાં.
Share it on
|