કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા તાલુકાના પત્રી ગામના યુવાન પૃથ્વીરાજસિંહ જાડેજાના હત્યા કેસના આરોપી અને ભાજપના સ્થાનિક આગેવાન ધીરુભા રતનજી જાડેજા (રહે. વિરાણીયા) પર મરણ જનારના ભાઈઓએ હુમલો કરી માથામાં ધોકો ફટકાર્યો હોવાનો બનાવ બન્યો છે. જો કે, હુમલા સમયે પ્રાગપર પોલીસ સ્થળ પર પહોંચી જતાં આરોપીઓને રાઉન્ડ અપ કરી લઈ ઘાયલ આરોપી ધીરુભાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ૨૮-૧૦-૨૦૨૩ના રોજ પત્રીના યુવા આગેવાન પૃથ્વીરાજસિંહ જાડેજાને લોડર વડે કચડીને હત્યા કરી દેવાઈ હતી. મૃતકે ગામના મહિલા સરપંચ પ્રવિણાબેન ચાડ વિરુધ્ધ કરેલી રેતી ચોરીની ફરિયાદો અને તથા અવિશ્વાસની દરખાસ્ત લાવીને સરપંચપદેથી બરખાસ્ત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવેલી. આ બાબતની અદાવતમાં પ્રવિણાબેન ચાડ, તેના માતા, પિતા, બે ભાઈ, પ્રવિણાના મામા અને તેના બે પુત્રો વગેરેની ધરપકડ થયેલી.
હત્યાના અઢી માસ બાદ કૉલ ડિટેઈલ રેકર્ડના આધારે પોલીસે ૫૮ વર્ષિય ધીરુભાની ધરપકડ કરેલી. થોડાંક સમય અગાઉ આરોપી ધીરુભાને ગુજરાત હાઈકૉર્ટે શરતી જામીન પર મુક્ત કરેલો.
કૉર્ટની શરતો મુજબ આરોપી ધીરુભા પોલીસ મથકે હાજરી પૂરાવવા તથા કૉર્ટની મુદ્દતે બુધવારે આવેલો. દરમિયાન, રસૂલખાન નામના મિત્ર પાસેથી વીસ હજાર રૂપિયા લેવાના નીકળતાં હોઈ ધીરુભા કુંદરોડી ગામે ગયેલો. તે સમયે અન્ય એક મિત્ર અલીમામદ મળી જતાં તેણે ધીરુભાને પોતાના ઘેર ચા પીવા બોલાવેલો. ધીરુભા ચા પીતો હતો તે સમયે પૃથ્વીરાજનો સગો ભાઈ રઘુવીરસિંહ ઊર્ફે રઘુભા, કૌટુંબિક ભાઈઓ ગુલાબસિંહ શિવુભા જાડેજા, યુવરાજસિંહ ઝાલુભા જાડેજા, અજીતસિંહ ચાંદુભા જાડેજા, કનકસિંહ રણજીતસિંહ જાડેજા અને અન્ય એક અજાણ્યો શખ્સ મળી કુલ છ જણે તેને ઘેરી લઈને ‘તડીપાર છો, અહીં કેમ ફરો છો?’ કહી મારકૂટ કરેલી. હુમલાના કારણે ધીરુભા નીચે પડી ગયેલો.
કનકસિંહે માથામાં ધોકો ફટકારી દીધો હતો. વધુ મારથી બચવા ધીરુભાએ ઘરમાં ઘૂસી જઈને દરવાજા બંધ કરી દીધા હતા,
બનાવ અંગે જાણ થતાં પ્રાગપર પોલીસ તત્કાળ ત્યાં દોડી આવી હતી અને પાંચે આરોપીને રાઉન્ડ અપ કરી લઈ ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
Share it on
|