|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ ઓઈલના ખાલી પ્લાસ્ટિક બેરલ સાફ કરી વેચવાનો ધંધો કરતા વેપારી પાસે શાંતિથી ધંધો કરવાના નામે ખંડણી માગી તથા પોતાના બે સાગરીતોને મોકલી લૂંટ કરાવવાના ગુનામાં પકડાયેલાં ત્રણે આરોપીને કૉર્ટે જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પ્રાગપર પોલીસે ખંડણી અને લૂંટના ગુનાના સૂત્રધાર એવા આમ આદમી પાર્ટીના કચ્છ ઝોન પ્રમુખ સંજય બાપટ તથા તેના બે સાગરીતો માણેક ગઢવી અને આરીફ ખલીફાની ધરપકડ કરેલી. પીઆઈ એ.કે. ભરવાડે જણાવ્યું કે આરોપીઓએ રૂપિયાની માંગણી કરેલી તે અંગેના જરૂરી પુરાવા એકત્ર કરી લેવાયાં છે. સ્થાનિક કૉર્ટે તેમના જામીન આપવા ઈન્કાર કરી જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
ખોટા ધંધા કરો છો કહી હુમલો લૂંટ આચરેલી
ઉલ્લેખનીય છે કે ગુંદાલાની સીમમાં ફરિયાદીના એકમ પર પત્રકારના નામે હરિ ગઢવી અને આરીફ ખલીફાએ જઈને ‘તમે ખોટા ધંધા કરો છો’ કહીને ધાક-ધમકી કરીને કામ કરી રહેલા મજૂરોને માર્યા હતા. હરિ ગઢવીએ એક કર્મચારીના ખિસ્સામાંથી ૪૫ હજાર રોકડાં રૂપિયા લૂંટી લીધા હતા. જો કે, એકમના માલિક અને અન્ય લોકોએ પ્રતિકાર કરીને આરીફને સ્થળ પર ઝડપી પાડેલો પરંતુ હરિ નાસી ગયેલો. ઝડપાયેલા આરીફની મારકૂટ કરાયેલી. ત્યારબાદ તેને અને હરિને સંજય બાપટે મોકલ્યાં હોવાની કબૂલાતનું વીડિયો રેકોર્ડીંગ કરીને પોલીસના હવાલે કરી દીધો હતો. આ ગુનામાં હરિ ગઢવી નામનો ચોથો સાગરીત હજુ ફરાર છે.
Share it on
|