|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ કચ્છની ધરતીથી આદ્યાત્મિક્તા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ દેશભરમાં પ્રસરે તે માટે અદાણી મુંદરા પોર્ટે એક અનોખી યાત્રાનું આયોજન કર્યું છે. આ મહાયાત્રા ભારતના ૧૨ જ્યોતિર્લિંગ, ચાર ધામ અને નેપાળના વિખ્યાત પશુપતિનાથ જશે. અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહ અને સીઈઓ સુજલ શાહની ઉપસ્થિતિમાં આ યાત્રા રથનું આજે અદાણી મુંદરા પોર્ટથી પ્રસ્થાન થયું છે. મુંદરા કસ્ટમ્સ કમિશનર નીતિન સૈનીના હસ્તે લીલી ઝંડી બતાડીને યાત્રાનો શુભારંભ કરાવાયો હતો. મુંદરાના ચાર સેવાભાવી લોકો કપિલ ગોર, હરિનાથ નાથબાવા, મુકુંદનાથ નાથબાવા અને સાવનગિરિ ગોસ્વામી હસ્તક યાત્રાનું સંચાલન સૂત્ર છે. આ ચારે યાત્રી એકતા, ભક્તિ અને સમાજસેવાની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. યાત્રાના મુખ્ય આકર્ષણ તરીકે ભારતના બાર જ્યોતિર્લિંગો અને ચાર ધામોના દર્શન સાથે નેપાળમાં આવેલ પશુપતિનાથ મંદિરના દર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આદ્યાત્મિક યાત્રાનું અદાણી પોર્ટ ખાતે જ સમાપન થશે.
‘નો પ્લાસ્ટિક સેવ નેચર’નો સંદેશ
આ મહાયાત્રા આદ્યાત્મિક્તા સાથે પર્યાવરણ સુરક્ષાનો પણ મજબૂત સંદેશ ફેલાવશે. યાત્રા દરમિયાન ‘નો પ્લાસ્ટિક સેવ નેચર’ના સંદેશ સાથે દેશની જનતાને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે સંદેશ અપાશે.
અદાણી ગ્રુપ દ્વારા તાજેતરમાં યોજાયેલી શ્રીમદ ભાગવત કથાથી આ ભારત નેપાળ યાત્રા પ્રેરિત છે. તે કથા સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત હતી,
તેમાં ૧ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે કથા દરમિયાન પ્રસાદી માટે પરંપરાગત સ્ટીલના વાસણો, છાસ અને પાણી માટે માટીના કુલડાંનો ઉપયોગ કરાયેલો. આ યાત્રા ભક્તિ, સંસ્કૃતિ અને પર્યાવરણ સંરક્ષણના અનોખા સંયોજનનું પ્રતીક બનીને સમગ્ર દેશમાં પ્રેરણાનો સ્ત્રોત બને તેવી સૌએ અપેક્ષા દર્શાવી છે.
Share it on
|