કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપતમાં આવેલા સુપ્રસિધ્ધ માતાના મઢ તીર્થધામ નજીક ટેકરી પર આવેલા ખાટલા ભવાની મંદિરના પૂજારીએ મંદિર પરિસરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનો પશ્ચિમ કચ્છ SOGના દરોડામાં પર્દાફાશ થયો છે. SOGએ મંદિર પરિસરમાં આવેલી ઓરડીઓ આસપાસ બારમાસી ફૂલ-છોડની ઓથે ઉગાડેલાં ૩૬ હજાર ૮૦૦ રૂપિયાના મૂલ્યના ૩ કિલો ૬૮૦ ગ્રામ વજનના ગાંજાના ચાર છોડ (માટી સહિત) કબજે કર્યાં છે. ખાટલા ભવાની મંદિરના પૂજારી ચિંતનકુમાર ઈન્દ્રકુમાર પટેલ (ઉ.વ. ૩૪, રહે. મૂળ ગેરીતા, વિજાપુર, મહેસાણા)એ અંગત વપરાશ માટે ગાંજાના છોડ વાવ્યાં હોવાની બાતમીના આધારે ગત મોડી સાંજે SOGએ રેઈડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પૂજારી ચિંતન પટેલે જણાવ્યું કે મંદિર પરિસરમાં અવારનવાર ગાંજાની ચિલમ પીવાના બંધાણી અજાણ્યા સાધુ સંતો આવતાં હોઈ તેમાંથી કોઈકે ગાંજાના બીજ ક્યારામાં નાખ્યાં હતાં. આવા બંધાણી સાધુ સંતોના વપરાશ હેતુ તેણે ગાંજાના છોડ વાવ્યાં હતાં. ચિંતન પટેલ વિરુધ્ધ દયાપર પોલીસ મથકે NDPSની કલમો તળે ગુનો નોંધાવાયો છે. કાર્યવાહીમાં પો.ઈ. વિનોદ વી. ભોલા, પો.સ.ઈ. પી.પી. ગોહિલ તથા સ્ટાફ જોડાયો હતો.
Share it on
|