લખપતના મુંધવાયમાં સસલાંનો શિકારઃ શિકારીઓની બીટ ગાર્ડ સાથે માથાકૂટ
કચ્છખબરડૉટકોમ, દયાપરઃ કચ્છમાં સારાં વરસાદના પગલે સર્વત્ર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. સીમાડાઓમાં વન્યજીવ સૃષ્ટિ પણ આનંદ કિલ્લો કરી રહી છે. ત્યારે, શિકારી પ્રવૃત્તિઓ વધવા માંડી છે.
Video :
આજે સાંજે લખપતના મુંધવાય ગામના સીમાડે કેટલાંક શિકારીઓએ સસલાંનો શિકાર કર્યો હતો. બનાવ અંગે જાણ થતાં દયાપરની ઉત્તર રેન્જના બીટ ગાર્ડ દિલીપ જોશી સ્થળ પર પહોંચી ગયાં ત્યારે હાજર લોકોએ તેમની સાથે માથાકૂટ કરી લાકડી ઉગામીને ફરજમાં રૂકાવટ કરી હતી.
સ્થળ પર હાજર જાગૃત નાગરિકે શિકાર અને વનકર્મી સાથે શિકારીઓની માથાકૂટની ઘટનાની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. ઘટના અંગે વન તંત્રએ સસલાંનો શિકાર કરનારાં રમધાન ઈસ્માઈલ ભડાલા (રહે. કોરિયાણી, લખપત) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુનામાં અન્ય ચારથી પાંચ આરોપીઓ સામેલ હતાં. રમધાનના રીમાન્ડમાં અન્ય આરોપીઓની ઓળખ સ્પષ્ટ થયાં બાદ તેમની અટક કરવામાં આવશે તેમ આરએફઓ એસ.જી. ચૌધરીએ જણાવ્યું છે. રમધાન સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
સસલાંનો સમાવેશ શિડ્યુલ્ડ 2 અંતર્ગત સંરક્ષિત પ્રાણીમાં થયો હોઈ ગુનો બિન માંડવાળપાત્ર છે. દોષ સાબિત થયે ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ છે.