|
કચ્છખબરડૉટકોમ, દયાપરઃ લખપત તાલુકાના અંતરિયાળ બરંદા ગામે રહેતા એક યુવકનું ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હોવાની અને પોલીસ ચોપડે કશી નોંધ દાખલ ના કરાવાઈ હોવાની વિગતો બહાર આવતાં પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. યુવકનું મૃત્યુ ખરેખર આપઘાત છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ કરવા ગામના જાગૃત નાગરિકે પોલીસને રજૂઆત કરી છે. રજૂઆત અન્વયે નારાયણ સરોવર પોલીસ મથકના મહિલા ઈન્સ્પેક્ટર જે.બી. કુણીયાએ બરંદા જઈને પ્રાથમિક તપાસ આદરી છે. સિદ્દીક ઊર્ફે ઈરફાન અલીમામદ પડિયાર નામનો યુવક ગઈકાલે સીમાડે ઢોર ચરાવવા ગયેલો અને ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અપમૃત્યુ અંગે પોલીસ મથકે કોઈ જાણ કર્યા વગર તેની દફનવિધિ કરી દેવાઈ હોવાનું પણ સ્પષ્ટ થયું છે. મૃતકના થોડાંક માસ અગાઉ લગ્ન થયેલાં.
આ બનાવને દબાવવા પ્રયાસો થતાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
કોઈ ગુનાહિત કાવતરું ઘડીને સિદ્દીકને મરવા મજબૂર કરાયો કે કેમ અથવા તેની હત્યા કરાઈ છે કે કેમ તે અંગે ભીતિ વ્યક્ત કરાઈને વૈજ્ઞાનિક અને ફોરેન્સિક પુરાવાઓ તથા મોબાઈલ ફોન લોકેશન અને કોલ ડિટેઈલ્સ, સીસીટીવીના આધારે મૃત્યુનું વાસ્તવિક કારણ જાણી સત્ય શોધવા પોલીસને વિનંતી કરાઈ છે. બનાવને ગંભીરતાથી લઈ નખત્રાણા નાયબ પોલીસ અધીક્ષક દ્વારા શનિવારે ગહન તપાસ કરાશે તેમ પોલીસે ઉમેર્યું છે.
Share it on
|