click here to go to advertiser's link
Visitors :  
16-May-2025, Friday
Home -> Kutch -> Two more house break reported in East and West Kutch Read more
Wednesday, 06-Dec-2023 - Bhuj 37717 views
આદિપુરઃ દીકરીના લગ્ન નિમિત્તે પરિવાર ખરીદી કરવા ગયો ને ઘરમાંથી ૯.૧૯ લાખની ચોરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ખાખીની નજરે ઠંડી એટલે ચોરોની ઋતુ! આમ તો ઘરફોડ ચોરીના ગુના બારેમાસ નોંધાતા રહે છે પણ શિયાળાની ઋતુમાં અચાનક તેમાં ઉછાળો આવે છે. છેલ્લાં થોડાંક સમયથી પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં રોજે રોજ ચોરીના બનાવ પોલીસ ચોપડે નોંધાય છે. આદિપુરમાં દીકરીના લગ્નપ્રસંગ નિમિત્તે ઘરને તાળાં મારી ખરીદી કરવા અમદાવાદ ગયેલાં પરિવારના બંધ ઘરમાંથી તસ્કરોએ રોકડાં અને સોના ચાંદીના ઘરેણાં મળી  ૯.૧૯ લાખની મતાની ચોરી કરતાં પોલીસ ચોંકી ઉઠી છે.

આદિપુરના વૉર્ડ 3-એમાં રહેતા ૬૧ વર્ષિય નિવૃત્ત ચંદુલાલ ઠાકરશી સોનાસર (ઠક્કર)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે સૌથી નાની પુત્રીના જાન્યુઆરીમાં લગ્ન નિરધાર્યાં હોઈ તેઓ ૨૨ નવેમ્બરની રાત્રે ઘરને તાળાં મારી સપરિવાર અમદાવાદ ખરીદી કરવા ગયેલાં. ૨૮ની પરોઢે મોટો પુત્ર અને પુત્રવધૂ ઘેર પરત ફરતાં ઘરમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.

તાળાં તોડીને પ્રવેશેલાં તસ્કરોએ ઘરમાંથી ૮૦ હજાર રોકડાં રૂપિયા, ૩.૫૦ લાખના મૂલ્યની ૧૦૦ ગ્રામ સોનાની લગડી, ૧ લાખની કિંમતના સોનાના બે કડાં, ૭૦ હજારની ચેઈન, ચાંદીના ઘરેણાં અને ચીજવસ્તુ, ૧૫ કાંડા ઘડિયાળો વગેરે ચોરી ગયાં હતાં.

કિંમતી ચીજવસ્તુ સાથે તસ્કરો પરિવારના સદસ્યોના આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી ઓળખપત્ર વગેરે પણ ચોરી ગયાં હતાં. ચોરાયેલાં ઘરેણાંના બિલ શોધવામાં તથા લગ્ન પ્રસંગના આયોજનની વ્યસ્તતાના કારણે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું ચંદુલાલે લખાવ્યું છે.

માનકૂવામાં ધોળા દિવસે ૩.૫૯ લાખની ઘરફોડ ચોરી

કચ્છ જિલ્લા પંચાયતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા અને માનકૂવા જૂનાવાસમાં ગુર્જરવાસમાં રહેતા શાન્તાબેન વસંતભાઈ રાઠોડના બંધ ઘરમાં ત્રાટકેલાં તસ્કરો ૮૦ હજાર રોકડાં, ૧૦ ડોલર, સાડા ૩ તોલાનો સોનાનો હાર, દોઢ તોલાની ચેઈન, સોનાની ૮ વીંટી મળી સોના-ચાંદીના અન્ય નાનાં-મોટાં દાગીના મળી ૩.૫૯ લાખની માલમતા ચોરી ગયાં હોવાનો બનાવ માનકૂવા પોલીસ મથકે નોંધાયો છે. શાન્તાબેનનો પુત્ર જયંતીલાલ માતાના ઘરની પડોશમાં રહે છે. સોમવારે સવારે મા-દીકરો નિત્યક્રમ મુજબ ભુજમાં કામે આવ્યાં હતાં. સાંજે પાંચ વાગ્યે પુત્રએ પિતાને ફોન કરી દાદીના ઘરની પાછળની બારી તૂટેલી હાલતમાં હોવાની અને ચોરી થઈ હોવાની જાણ કરી હતી.

ચોરી અંગે જાણ થતાં વિધવા શાન્તાબેનની તબિયત લથડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડ્યાં હતાં.
Share it on
   

Recent News  
સોનાના નામે ૨૮.૭૫ લાખની ઠગાઈઃ ભુજના રીઢા શખ્સની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ
 
ગુજસીટોક તળે અંજારની વ્યાજખોર બહેનોના ૩૯ લાખના વધુ ૩ મકાન પોલીસે જપ્ત કર્યાં
 
સમૂહલગ્નમાં સ્ટેજ ઉપર મહંત પર હુમલોઃ હિંદુ સમાજની ભુજમાં વિશાળ વિરોધ રેલી