|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ રંગીન ડી.જે. પાર્ટીના આયોજન અને હિરોઈનની સોબતની લાલચમાં ગાંધીધામના ઉદ્યોગપતિને ફસાવીને યેનકેન પ્રકારે ૧૮.૫૦ લાખ મેળવીને છેતરપિંડી કરવાના ગુનાના સૂત્રધારની જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. મુંબઈ સહિતના શહેરોમાં કથિત રીતે ડી.જે. પાર્ટી અરેન્જ કરતા પંજાબી દલાલ બન્ટીએ તેના મિત્ર સાહિલ અને નાયરા નામની મુંબઈની સેલિબ્રિટી હિરોઈન મારફતે ગાંધીધામના ઉદ્યોગપતિ જોડે ૧૮.૫૦ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. ગાંધીધામના સેક્ટર- ૩માં રહેતા ૪૮ વર્ષિય જગદીશ ભગવાનજી અયાચી (ગઢવી) નામના ટ્રાન્સપોર્ટર અને નમક ઉદ્યોગપતિએ પોતાની સાથે થયેલી ઠગાઈ અંગે ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ૩ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
આ રીતે કરવામાં આવી હતી મોટી ઠગાઈ
ગાંધીધામના એક ફાર્મ હાઉસમાં જગજીતસિંઘ ઊર્ફે બન્ટી ઊર્ફે રૉકી નામના મૂળ પંજાબના વતની અને દિલ્હીમાં રહેતા યુવક સાથે ફરિયાદીની થયેલી મુલાકાત બાદ બન્ટીએ ફરિયાદીને બાટલીમાં ઉતારવાનું શરૂ કરેલું. પોતે રંગીન ડી.જે. પાર્ટીઓ ઓર્ગેનાઈઝ કરતો હોવાના બહાને બન્ટીએ બે લાખ રૂપિયા ઉછીના માગીને ચીટીંગની શરૂઆત કરેલી. ત્યારબાદ, બન્ટીના મિત્ર સાહિલે પાર્ટીમાં અચાનક પોલીસની રેઈડ પડેલી, બન્ટીના મોબાઈલમાં તમારો ફોટો હોવાનું અને મુંબઈ પોલીસમાં ખુલાસો આપવો પડશે અથવા પૈસા આપીને સેટલમેન્ટ કરવાના નામે ડરાવીને રૂપિયા પડાવેલાં.
બન્ટીએ મોટી સેલિબ્રિટી હોવાનું કહીને નાયરા બેનર્જી નામની કહેવાતી અભિનેત્રી જોડે પરિચય કરાવીને તેના પ્રોગ્રામ માટે ત્રણ લાખ મેળવેલાં. તો, નાયરાએ નોરા ફતેહી નામની હિરોઈનને ગાંધીધામમાં લઈ આવવાનું કહી ખર્ચા પેટે વધુ ત્રણ લાખ પડાવેલાં.
ફરિયાદીએ નાણાં પરત મેળવવા પ્રયાસ કરતાં નાયરાએ છેડતીના ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને વધુ રુપિયા પડાવેલાં. એટલું જ નહીં, બન્ટીએ પણ પાછળથી ફરિયાદીને ડ્રગ્સ કેસમાં ફસાવવાની બીક બતાડીને વધુ રૂપિયાની માંગણી કરેલી.
પોલીસે આ કેસમાં ૨૪ મેના રોજ મુખ્ય સૂત્રધાર બન્ટીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. જે-તે સમયે ફરિયાદમાં ૧૬.૫૦ લાખની ઠગાઈ થયાનું લખાવાયેલું, પાછળથી ઠગાઈની રકમનો આંકડો ૧૮.૫૦ લાખે પહોંચ્યો હતો. જેમાંથી ૧૩.૫૫ લાખ રૂપિયા એકલાં બન્ટીએ જ હજમ કર્યાનું ખૂલ્યું હતું.
આ કેસમાં હજુ સાહિલ મીરચંદાણી અને નાયરા બેનર્જી નામના બે આરોપી પકડવાના બાકી હોવાનું, આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો હોવાનું, પોલીસની તપાસ હજુ ચાલુ હોવાનું, આરોપી દિલ્હીનો રહેવાસી હોઈ જામીન પર છોડાય તો નાસી ભાગી જવાની શક્યતા હોવાના મુદ્દે જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત થયેલી. ગાંધીધામના આઠમા અધિક સેશન્સ જજ એલ.ડી. વાઘે દલીલોને ગ્રાહ્ય રાખીને અરજી ફગાવી દીધી છે.
Share it on
|