|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પૂર્વ કચ્છ જિલ્લાની નવી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીનું અંજાર ખાતે અંદાજે 8.52 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આરટીઓની નવી ઈમારતની માંગણી લાંબા સમયથી રાજ્ય સરકાર સમક્ષ પડતર હતી. અંજારના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન, સા.શૈક્ષણિક પછાત વર્ગોના રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે રાજ્ય સરકારમાં આ અંગે રજૂઆત કરતાં વાહન વ્યવહાર વિભાગે અંજાર ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી માટે 30,200 ચોરસ મીટર જમીન કચેરીના મકાન માટે ફાળવી છે. અંજાર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ ઘણો વિકસેલો હોઈ કચેરી અસ્તિત્વમાં આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંલગ્ન લોકો અને આમજનતાની સુવિધામાં વધારો થશે. વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, આરટીઓની કચેરી માટે જમીન ફાળવણી અને જરૂરી નાણાંકીય જોગવાઇ સાથે કચેરીની ઈમારતના નકશા/અંદાજોને પણ વહીવટી મંજૂરી આપી દેવાઈ છે. આગામી ટૂંક સમયમાં આરટીઓ કચેરીના નવા મકાનનું બાંધકામ હાથ ધરવામાં આવશે. નવું મકાન તૈયાર થતાં લોકોને સરળતાથી અને ઝડપથી લાયસન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
(Input: Information)
Share it on
|