કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં કોરોનાના પંજો ધીમે ધીમે વ્યાપક બનતો જાય છે. આજે જિલ્લાના ચાર તાલુકાના મળીને એકસાથે નવા ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે નોંધાયેલાં ૯ કેસ પૈકી ૪ ભુજમાં, બે-બે અંજાર અને ગાંધીધામમાં અને એક કેસ અબડાસામાં નોંધાયો છે. અસરગ્રસ્તોમાં અંજારના ૧૦ વર્ષના છોકરા સહિત ૭ પુરુષ અને બે મહિલા દર્દીનો સમાવેશ થાય છે. જિલ્લાના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડૉ. કેશવકુમારે જણાવ્યું કે તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. ઉલ્લેખનીય છે કે, ૨૬ મેના રોજ ભુજમાં યોજાયેલી નરેન્દ્ર મોદીની સભાના બીજા દિવસથી એટલે કે ૨૭ મેથી આજના ૧૧ જૂન સુધીના ૧૫ દિવસમાં કચ્છમાં કોરોનાના કુલ ૪૬ કેસ નોંધાયાં છે, જે પૈકી ૨૭ કેસ ૭ જૂનથી આજની ૧૧ જૂન સુધીના છેલ્લાં પાંચ દિવસમાં જ નોંધાયા છે.
આ આંકડો કચ્છમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણનો નિર્દેશ કરી રહ્યો છે. હાલ જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો ૨૮ પર પહોંચ્યો છે. ડૉ. કેશવકુમારે જણાવ્યું કે તાલુકા મથકોએ સેમ્પલ માટે ટેસ્ટ કીટ આપી દેવાઈ છે. ભુજમાં સરકારી અને ખાનગી એમ બે લેબોરેટરીમાં કોવિડના સેમ્પલનું પરીક્ષણ કરાઈ રહ્યું છે.
કોરોનાની તાજી લહેરનો ભોગ બનેલાં દર્દીઓમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. જો કે, આ લક્ષણો પ્રમાણમાં ઘણાં હળવા (માઈલ્ડ) છે.
કોઈપણ દર્દીમાં શ્વાસ લેવામાં તકલીફ થવાનું કોઈ લક્ષણ જોવા મળ્યું નથી. જેથી, દર્દીઓને ઘરે જ આઈસોલેટ કરી ઓબ્ઝર્વેશનમાં રખાય છે.
Share it on
|