કચ્છખબરડૉટકોમ, ભુજઃ કસ્ટમ તંત્રએ મુંદરા પોર્ટથી આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ માટે જઈ રહેલાં બે કન્ટેઈનર અટકાવી તેમાંથી ૧૧૦ કરોડના મૂલ્યની ટ્રામાડોલ ટેબ્લેટ (દવા ગોળી)નો જથ્થો જપ્ત કર્યો છે. માદક દ્રવ્યોની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતાં નાર્કોટિક્સ ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીઝ એક્ટ ૧૯૮૫ અંતર્ગત એપ્રિલ ૨૦૧૮થી આ દવાની ભારતમાં આયાત નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયેલો છે. બાતમીના આધારે મુંદરા કસ્ટમે બે કન્ટેઈનરની તપાસ કરી આ દવાઓ ભરેલાં કન્ટેઈનર જપ્ત કર્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે બેઉ કન્ટેઈનરમાંથી ૨૫ મિલિગ્રામની એક ટેબ્લેટની કુલ ૬૮ લાખ ટેબ્લેટ જપ્ત કરાઈ છે. રાજકોટની પેઢી દ્વારા ડાઈક્લોફેનેક ટેબ્લેટ અને જેબેડોલ ટેબ્લેટની આડમાં ટ્રામાડોલની ગોળીઓ આફ્રિકાના સીએરા લીઓન અને નાઈજર દેશમાં નિકાસ કરાતી હતી. કસ્ટમ તંત્રએ તપાસ કરતાં કન્ટેઈનરોની પાછળથી ટ્રામાકિંગ 225 અને રોયલ 225 બ્રાન્ડ નેમની ટ્રામાડોલની ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.
આતંકીઓ આ ડ્રગ્ઝનો ખાસ ઉપયોગ કરે છે
મૂળભૂત રીતે ટ્રામાડોલ ટેબ્લેટનું વર્ગીકરણ ઓપીઓઈડ ડ્રગ્ઝ તરીકે કરાયેલું છે. અર્થાત્ આ દવા અફીણમાંથી બને છે. સામાન્ય રીતે આ દવા શરીરમાં તીવ્ર દુઃખાવો કે પીડા થતી હોય ત્યારે દર્દીને અપાય છે. દર્દીનો કામચલાઉ ધોરણે પીડામાંથી છૂટકારો થાય છે.આ દવા મગજની સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમ પર સીધી અસર કરે છે.
મુંદરાના પ્રિન્સીપલ કમિશનર કેશવન એન્જિનિયરે જણાવ્યું કે આ દવા લેવાથી કલાકો સુધી ઊંઘ આવતી નથી તેથી મધ્ય પૂર્વના આતંકી સંગઠન ISISના આતંકીઓ તેનો ખાસ ઉપયોગ કરે છે. આતંકવાદીઓમાં આ દવા ફાઈટર ડ્રગ્ઝ તરીકે ખૂબ પ્રખ્યાત છે.
આફ્રિકાના નાઈજીરીયા, ઘાના વગેરે જેવા દેશોમાં સિન્થેટીક (રસાયણોના સંયોજનોથી બનાવેલી કૃત્રિમ દવા) ટ્રામાડોલની ખૂબ ઊંચી માગ છે. મુંદરા કસ્ટમે રાજકોટ ઉપરાંત ગાંધીધામ અને ગાંધીનગરમાં પણ આ કેસ સંદર્ભે દરોડા પાડી તપાસ હાથ ધરી છે.
Share it on
|