|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ બ્રાસ સ્ક્રેપના બિઝનેસમાં મોટો નફો થવાની લાલચ આપીને સાઉદી અરેબિયામાં સ્થાયી થયેલાં મૂળ બેંગલુરુના બે ભાઈઓએ ગાંધીધામના બિઝનેસમેન સાથે દોઢ કરોડની ઠગાઈ કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. ગાંધીધામમાં આશુતોષ મરિન કંપની નામથી શિપીંગ પેઢી ધરાવતા ૩૯ વર્ષિય કુલદીપ લક્ષ્મણભાઈ લાલચંદાણી (રહે. આદિપુર)એ મોહમ્મદ નવાઝ હુસેન અને મોહમ્મદ ઈમરાન હુસેન વિરુધ્ધ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ઠગાઈની શરૂઆત આજથી આઠ વર્ષ અગાઉ થયેલી. આઠ વર્ષ અગાઉ નવાઝ હુસેન ગાંધીધામમાં ફરિયાદીની ઑફિસે આવીને રૂબરૂ મળેલો. તે સમયે તેણે કહેલું કે સાઉદી અરેબિયાના કતારમાં તેણે તેના ભાઈ ઈમરાન સાથે મળીને બ્રાસ સ્ક્રેપનો બિઝનેસ શરૂ કર્યો છે. તેમાં મોટો નફો થાય છે. તમે પણ બ્રાસ સ્ક્રેપને ઈમ્પોર્ટ કરી ધંધો કરો ઘણો લાભ થાય છે. નવાઝે ફરિયાદીને મિત્રતાના નાતે કતાર આવવા આમંત્રણ પણ આપેલું.
ફરિયાદી ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯માં કતાર ગયેલો અને બેઉ ભાઈને રૂબરૂ પણ મળેલો. ૨૦૨૧માં બેઉ જણે ફરિયાદીને સ્ક્રેપનું ટેન્ડર ભરવા માટે ૮૦ લાખ રૂપિયા આપીને પાર્ટનરશીપ કરવાનું કહેતા ફરિયાદીએ તેમના વિશ્વાસે તેમને ૮૦ લાખ રૂપિયા આપેલાં.
ત્યારબાદ આરોપીઓના આગ્રહવશ એકવાર તેણે બ્રાસ સ્ક્રેપના ચાર કન્ટેઈનર ઈન્ડિયા ઈમ્પોર્ટ કરેલાં. જો કે, તેમાં તેને ખાસ નફો થયો નહોતો.
૨૦૨૨માં આરોપીઓએ ફરી પાર્ટનરશીપના બહાને એક કરોડ રૂપિયા માંગેલાં.
ફરિયાદીએ તેમને નાણાં આપેલા તેમાંથી હવે હાલ જરૂર નથી કહીને પચાસ લાખ પાછાં આપેલાં. ત્યારબાદ વધુ એકવાર ૨૬ લાખ મેળવેલાં. આ રીતે, આરોપીઓએ ટુકડે ટુકડે ફરિયાદી પાસેથી દોઢ કરોડ રૂપિયા મેળવેલાં. ફરિયાદીએ માલ કે નફો આપવાનું તો કોરાણે રહ્યું, મૂડીપેટે રોકેલાં દોઢ કરોડ રૂપિયા પરત આપવા રજૂઆત કરતાં આરોપીઓ સતત બહાના કરતાં રહેલાં. છેલ્લે રૂપિયા પરત કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેવાતાં અંતે બેઉ સામે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|