કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં તલાવડી અને સરકારી ખરાબાની જમીન પર છેલ્લાં 13 વર્ષથી ગેરકાયદેસર દબાણ કરી બે હોટેલો, ચાર દુકાનો, સર્વિસ સ્ટેશન, પાર્કિંગ બનાવી દેનારાં શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટનું શસ્ત્ર ઉગામાયું છે. આ અંગે જાગૃત નાગરિકે કરેલી અરજી-દસ્તાવેજોના આધારે કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા હુકમ કરાતાં આજે બે અલગ અલગ ફરિયાદ દાખલ થઈ છે. ખારા પસવારીયાના કરસનભાઈ રાણા રબારીએ જગાભાઈ પચાણ રબારી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે બે અલગ અલગ ફરિયાદ નોંધાવી છે. કરસનભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે જગા રબારીએ વરસામેડીમાં સરકારી ટાવર્સ સર્વે નંબર 890 પૈકીની ડેમાસરી તલાવડીની જમીન પર પેશકદમી કરી હોટેલ સહિતના ગેરકાયદે દબાણ ઊભાં કરી દીધાં હતા. એ જ રીતે, સર્વે નંબર 752 અને 754ની સરકારી ખરાબાની જમીન પર તેણે દબાણો ઊભાં કર્યાં હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ છેલ્લાં તેર વર્ષથી જગાએ અહીં પાકા દબાણો ઊભાં કરી દીધાં હતા. પરંતુ કોઈ દાદ દેતો નહોતો. દબાણો અંગે ફરિયાદીએ સંબંધિત સરકારી વિભાગોમાં પણ રજૂઆતો કરી હતી. આ બનાવ દર્શાવે છે કે સરકારી જમીનો ઉપર સરેઆમ દબાણો થઈ જવા છતાં પ્રાંત અધિકારી કે મામલતદારના પેટનું પાણી હલ્યું નહોતું. ખરેખર તો ગાંધીછાપ ગુલાબી રંગના ચશ્મા પહેરીને કાયદાના આટાપાટાની ઓથમાં આવા દબાણકારોને છાવરનારાં જવાબદાર અધિકારીઓ સામે પણ ગુના દાખલ થાય તો જ આવા દબાણો આપોઆપ નાબૂદ થશે.
Share it on
|