|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ છેલ્લાં થોડાંક માસથી ‘ઈન્ચાર્જ’ અધિકારીઓના ભરોસે ચાલી રહેલા કચ્છના શિક્ષણ તંત્રમાં રાજ્ય સરકારે એકસાથે બબ્બે નિયમિત અધિકારીઓની નિયુક્તિ કરતાં શિક્ષણજગતમાં રાહત ફેલાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે રાકેશ આર. વ્યાસ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સંજય પરમાર નામના અધિકારીઓની નિમણૂંક કરી છે. રાકેશ વ્યાસ હાલ ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણની કચેરીમાં વહીવટી અધિકારી તરીકે જ્યારે સંજય પરમાર ગાંધીનગરમાં શાળાઓના મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.મધુકાંત આચાર્ય નિવૃત્ત થયા બાદ તેમનું સ્થાન ખાલી પડ્યું હતું. જ્યારે, અગાઉના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે વિવાદાસ્પદ કાર્યકાળ ધરાવનારાં બી.આર. જરગેલાની છેવટે બદલી કરાઈ હતી. બંને સ્થાન થોડાંક માસથી ખાલી પડ્યાં હતા અને ઈન્ચાર્જની નિમણૂંકથી ગાડું ગબડાવાતું હતું. નિયમિત અધિકારીઓની નિમણૂંક થતાં હવે શિક્ષણને લગતાં પ્રશ્નો અને વહીવટી પ્રશ્નોનો નિવેડો આવી જવાની આશા છે.
Share it on
|