|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકારણમાં ભારે ધમધમાટ પ્રવર્તી રહ્યો છે. તાલુકા, જિલ્લા પંચાયતો, નગર પાલિકાઓ અને મહાનગર પાલિકાઓનો આ ચૂંટણી જંગ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીતનો પાયો બનશે. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો તો મેદાને છે જ પરંતુ આ વખતે આમઆદમી પાર્ટીએ પસંદગીની સીટો પરના જંગમાં ઝૂકાવ્યું છે. તો, હવે અસસુદ્દીન ઓવૈસીની ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન AIMIM પાર્ટીએ પણ કચ્છના જંગમાં ઉતરવા નક્કી કર્યું છે. કચ્છની વિવિધ નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની મહત્વની બેઠકો પર AIMIM ઉમેદવારોને મેદાને ઉતારશે. AIMIMના આયોજનથી આ વખતનો જંગ ભારે ગળાકાપ બનવાની ધારણા છે.
AIMIMની હાજરી અનેક જગ્યાએ સર્જી શકે છે અપસેટ
આમ તો ગુજરાતની તાસિર મુજબ ક્યારેય ત્રીજો પક્ષ કદી ફાવ્યો નથી. પરંતુ, જે પ્રકારે રાજકારણમાં ધર્મ, સંપ્રદાય અને નાત-જાતનું વર્ચસ્વ વધી ગયું છે તેના કારણે ત્રીજા પક્ષોની હાજરીથી પરિણામોમાં ભારે અપસેટ સર્જાય છે. ઓવૈસીની આજની ગુજરાત મુલાકાત ટાણે ચૂંટણી સ્ટ્રેટેજી અંગે ભુજના યુવા આગેવાન અને પાર્ટીના પ્રદેશ મહામંત્રી સકીલ સમાએ ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું છે. સમાએ જણાવ્યું કે અમે લોકો સાથે કનેક્ટ હોય તેવા ગ્રાસ રૂટ સાથે જોડાયેલાં કાર્યકરોને ટિકિટ આપવા પર ફોકસ કરી રહ્યાં છીએ. ભાજપના શાસનમાં જે પ્રકારે મુસ્લિમો અને દલિતોની સરેઆમ અવગણના થઈ રહી છે તે જોતાં લોકો ત્રીજા વિકલ્પ પર આશાભરી મીટ માંડીને બેઠાં છે.
આ વિસ્તારોની બેઠકો પરનો જંગ બનશે ગળાકાપ
ભુજ, માંડવી મુંદરા, અબડાસા લખપતને સમાવતી નખત્રાણા, ગાંધીધામ જેવી વિધાનસભા બેઠકો પર મુસ્લિમો અને દલિતોનો ઝોક ખૂબ અસરકર્તા છે. મુસ્લિમો અને દલિતોના મત કોંગ્રેસ ભાજપ જેવા મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોની હાર-જીતના સમીકરણો ફેરવી નાખવા સમર્થ છે. છેલ્લે યોજાયેલી ભુજ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બાદ AIMIMને સૌથી વધુ મત મળ્યાં હતા.
વિધાનસભા ચૂંટણી ભુજ બેઠક પર AIMIMનું જોર વર્તાયેલું
કોંગ્રેસના પરાજીત ઉમેદવાર અરજણ ભુડીયાને મળેલાં ૩૬ હજાર ૭૬૮ મતની તુલનાએ AIMIMના ઉમેદવાર સકીલ સમાને ૩૧ હજાર ૨૯૫ મત મળ્યાં હતા. ભુજ શહેરના ૧૧ વૉર્ડ, બન્ની પચ્છમના અનેક ગામોમાં કોંગ્રેસ કરતાં AIMIMના ઉમેદવારને વધુ મળ્યાં હતા. ગુજરાતમાં એકમાત્ર સમા એવા ઉમેદવાર બની રહ્યાં હતા કે જેને સૌથી વધુ મત મળેલાં.
પક્ષના પ્રતીક કે રાષ્ટ્રીય ચહેરાં નહીં સ્થાનિક મુદ્દા જ મહત્વના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાષ્ટ્રીય મુદ્દાઓ પર નહીં પરંતુ લોકોને સ્પર્શતાં પાયાના મુદ્દાઓ પર લડાય છે. શેરીએ શેરી જતાં ઉમેદવારોના નામ અને ચહેરાંને મતદારો સારી પેઠે ઓળખતાં હોય છે. રસ્તા, ગટર, સફાઈ, વીજળી, પાણી વગેરે જેવા અનેક પાયાનાં મુદ્દાઓ જ મહત્વના બની રહેતાં હોય છે.
Share it on
|