કચ્છખબરડૉટકોમ, ભુજઃ નખત્રાણાના ઢોરો ગામની મદરેસામાં ધાર્મિક શિક્ષણ મેળવવા આવતી 14 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજારનારાં મૌલાના સમસુદ્દીન હાજી સુલેમાન જતની નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે વધુ એકવાર ફગાવી દીધી છે. 2015થી 2019ના વર્ષ દરમિયાન મૌલાનાએ અલગ અલગ સમયે ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકી આપી 3 વખત દુષ્કર્મ આચર્યું હતું. લગ્ન થયા બાદ ભોગ બનનારે આ અંગે પતિને વાત કરતાં પતિએ હિંમત આપી તેને ફરિયાદ નોંધાવવા આગળ આવવા કહ્યું હતું. જેથી 14 જૂલાઈ 2020નાં રોજ આરોપી સામે પીડિતાએ પોક્સો સહિતની કલમો તળે નરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ચાર્જશીટ રજૂ થવાથી સંજોગોમાં ફેરફાર નથી થતો
અગાઉ 29 જૂલાઈના રોજ કૉર્ટે મૌલાનાની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પોલીસે કૉર્ટમાં આરોપી સામે ચાર્જશીટ રજૂ કર્યાં બાદ આરોપીએ નિયમિત જામીન અરજી દાખલ કરી હતી. આરોપી વતી ધારાશાસ્ત્રીઓએ રજૂઆત કરી હતી કે ફરિયાદ મોડી શા માટે દાખલ કરાવી તેનો ફરિયાદી કોઈ સંતોષકારક ખુલાસો આપી શકેલ નથી. વળી, આ કેસના એક સાક્ષી પાસેથી 2015ના વર્ષનું રજિસ્ટર પણ મળેલું નથી તેમજ પોલીસે તપાસ કરીને કૉર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી છે. સામે ફરિયાદ પક્ષના વકીલોએ આરોપી સામે દસ્તાવેજી પુરાવા સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવી તેને ગંભીર બાબત ગણાવી ચાર્જશીટ રજૂ થાય તે જામીન મેળવવા માટેનું કોઈ ઠોસ કારણ ના હોવાની દલીલો કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળી બીજા અધિક સેશન્સ જજ પ્રતાપદાન એસ. ગઢવીએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે બનાવ બન્યો તે સમયે ભોગ બનનાર 14 વર્ષની હતી અને ધાર્મિક શિક્ષણ લેવા જતી હતી. આરોપીએ તેના પદનો ગેરલાભ લઈ 14 વર્ષની બાળકીનું જાતીય શોષણ કરેલું. વળી ચાર્જશીટ રજૂ થવાથી સંજોગોમાં કોઈ ફેરફાર થયો છે તેવું માની લેવાય નહીં. જજે આરોપીની તરફેણમાં પોતાના ડીસ્ક્રેશનરી પાવર (વિશેષાધિકાર)નો ઉપયોગ કરી જામીન આપવાનો ઈન્કાર કરી અરજીને ફગાવી દીધી છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ એચ.બી. જાડેજા તેમજ મૂળ ફરિયાદી તરફે ભુજના વરિષ્ઠ એડવોકેટ હેમસિંહ સી. ચૌધરી, દિપક ઉકાણી, કુલદીપ જીતેન્દ્રભાઈ મહેતા, નરેશ ચૌધરીએ લેખીતમાં રજૂઆતો કરી હતી.
Share it on
|