|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ કંડલાની ખાડીમાં ઉભા રહેલા ટગ અને બાર્જના ખલાસીઓ સાથે સ્થાનિક માછીમારોએ ધાક-ધમકી કરી પથ્થરમારો કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. બનાવ અંગે જાણ થતાં કંડલા મરીન પોલીસ ઈન્સ્પેક્ટર વી.એફ. ઝાલા અને તેમના સ્ટાફે તુરંત જ બોટ મારફતે મધદરીયે ધસી જઈ પથ્થરમારો કરનારી 5 બોટના 7 માછીમારોને દબોચી લીધાં હતા. બનાવ ગઈકાલે બપોરે પોણા 3 વાગ્યાના અરસામાં બન્યો હતો. મુંબઈની કંપનીના બાર્જ અને ટગ કંડલા પોર્ટ પર મશીનરી મટીરીયલ લૉડ કરી પરત મુંબઈ જતા હતા. જો કે, કસ્ટમ ક્લિયરન્સની પ્રક્રિયાના કારણે કંડલાથી 10 નોટિકલ માઈલ દૂર આઉટર એન્કરેજ એરીયામાં તેને એન્કર કરાઈ થોભાવી દેવાયાં હતા. દરમિયાન, ગઈકાલે બપોરે 5 બોટમાં આવેલાં સ્થાનિક માછીમારોએ ટગ અને બાર્જના કેપ્ટન સાથે ઝઘડો કર્યો હતો. ‘તમારે અહીં બાર્જ લઈને નહીં આવવાનું, અમારી જાળને નુકસાન થાય છે’ તેમ કહી તેમણે ટગ-બાર્જના ખલાસીઓ સાથે ધાક-ધમકી કરી પથ્થરમારો કર્યો હતો. બનાવ અંગે કેપ્ટને કંડલા પોર્ટને જાણ કરતાં માછીમારો બોટ લઈને નાસી છૂટ્યાં હતા. બીજી તરફ, માછીમારોએ કરેલાં પથ્થરમારા અંગે જાણ થતાં કંડલા પોલીસ પેટ્રોલીંગ બોટ લઈ મધદરીયેથી પાંચેય બોટ સાથે માછીમારોની ધરપકડ કરી હતી. આરોપીઓ કંડલા આસપાસના ગામનાં માછીમારો છે.
Share it on
|