|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ વિશ્વભરમાં કોરોનાના વિષાણુએ ભયનું વાતાવરણ સર્જ્યું છે. ત્યારે હવે દિનદયાલ કંડલા પોર્ટે કોરોનાગ્રસ્ત દેશોમાંથી આવતા માલવાહક જહાજોના ખલાસીઓના મળ-મૂત્ર સહિતનો કચરો લેન્ડ કરવા પર પણ પાબંદી ફરમાવી દીધી છે. પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે, કોરોનાના વાયરસને ફેલાતો અટકાવવા સંદર્ભે એકાદ સપ્તાહ અગાઉ આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, વિદેશી જહાજોના ક્રુ મેમ્બર્સને પણ પોર્ટમાં પગ મૂકવા પર મનાઈ ફરમાવી દેવાયેલી છે. સરકારી ગાઈડલાઈન મુજબ ક્રુ મેમ્બર્સનું ઓનબૉર્ડ સ્ક્રીનીંગ કરાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલી ચીજવસ્તુ તેમજ નૈસર્ગિક મળ-મૂત્રોત્સર્ગથી પણ વાયરસ વાયરલ થઈ શકે તેવી દહેશત રહેલી છે. જેથી ખાસ સરક્યુલર બહાર પાડી તેના પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. પોર્ટમાં કામ કરતાં કામદારોને પણ વિદેશી ખલાસીઓથી સલામત અંતર જાળવવા સહિતની બાબતોથી વાકેફ કરાયાં છે. દરમિયાન, કોરોનાના કારણે લાંબા ગાળે પોર્ટનો 30-35 ટકા કન્ટેઈનર ટ્રાફિક ઘટવાની આશંકા છે. જો કે, વર્તમાન નાણાંકીય વર્ષમાં 119 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલીંગ કરવાનો પોર્ટનો લક્ષ્યાંક સિધ્ધ થઈ જશે તે બાબત નિશ્ચિત છે.
Share it on
|