કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સૂરજબારી બ્રિજ પર ટ્રકે ટક્કર મારતાં બાઈક પર જઈ રહેલાં બે યુવાનોના ગંભીર ઈજાથી મૃત્યુ થયાં છે જ્યારે એક યુવકને માથામાં મધ્યમ ઈજાઓ થઈ છે. શુક્રવારે રાત્રે સાડા દસના અરસામાં પ્રાણઘાતક માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. ભચાઉના જંગી ગામનો દિનેશ અમરશી પરમાર (કોલી), તેનો કૌટુંબિક ભાઈ દશરથ ડાયા કોલી અને પંજાબના પઠાનકોટનો વતની રવિસિંઘ ત્રણે શિકારપુર નજીક દોસ્તી હોટેલ પર નાસ્તો કરીને બાઈક પર માળિયા પાસે આવેલી ઈન્ડિયા સૉલ્ટ કંપનીમાં પરત જતાં હતા. તે સમયે સૂરજબારી બ્રિજ પર GJ-39 T-8871 નંબરની ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારતાં ત્રણે યુવાનો ફંગોળાઈને નીચે પટકાયાં હતાં. માથામાં ગંભીર ઈજાથી દશરથનું સારવાર પૂર્વે મૃત્યુ નીપજ્યું હતું જ્યારે રવિસિંઘે પણ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયાની ગણતરીની મિનિટોમાં દમ તોડી દીધો હતો. બનાવ સમયે મૃતક રવિસિંઘ બાઈક હંકારતો હતો, તે ઈન્ડિયા સૉલ્ટ કંપનીમાં હિટાચી ઓપરેટર તરીકે કરતો હતો. સામખિયાળી પોલીસે બનાવ અંગે ટ્રક ચાલક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Share it on
|