કચ્છખબરડૉટકોમ, ભુજઃ કિન્નરોના બે જૂથ વચ્ચે થયેલા આંતરિક ઝઘડાના પગલે આજે આખો દિવસ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિન્નરોએ જમાવડો રહ્યો હતો. ખાસ કરીને, એક જૂથના સભ્યો સામે મારામારી કરીને ત્રણ હજારની સોનાની કડીની લૂંટની ફરિયાદ દાખલ થતાં સામેના જૂથે તેમની ફરિયાદ નોંધાવવા માટે આખો દિવસ પોલીસ મથકે હંગામો હોબાળો મચાવ્યો હતો. પરંતુ, પોલીસે ક્રોસ કમ્પ્લેઈન દાખલ કરી નહોતી. પોલીસે એક જૂથની હુમલા સાથે લૂંટની FIR નોંધી
ભુજના આલાવારા કબ્રસ્તાન સામે મટન માર્કેટ પાસે કિન્નર અખાડો આવેલો છે. આજે કિન્નર સંપ્રદાયના ગુરુ ભૂરીદે (ભૂમિબા)ની પહેલી વરસી હોઈ અલગ અલગ મઢના કિન્નરો માટે જમણવાર રાખવામાં આવ્યો હતો.
જમણવાર નિમિત્તે અખાડાના ૩૯ વર્ષિય કિન્નર કૌશલ્યાદે ગુરુ ટીનાદે તેમના ભત્રીજા ચેલા કટુદે મુસ્કાનદે જોડે પરોઢે ચાર વાગ્યે શાકભાજી ખરીદવા માર્કેટ જવા નીકળ્યાં હતાં.
બેઉ જણ આલાવારા કબ્રસ્તાન પાસે રીક્ષાની રાહ જોતાં ઊભાં હતા ત્યારે એક કારમાં આવેલા કિરણદે નિશાદે (રહે. આશાપુરાનગર, ભુજ), રોશનીદે કિરણદે, સોફિયાદે કિરણદે અને નિશાદે વાગડવાળાએ બેઉ જણ જોડે ઝઘડો કરી બેઉને માર મારી મૂઢ ઈજાઓ પહોંચાડીને કૌશલ્યાદેએ પહેરેલી ત્રણ હજારની કિંમતની કાનની સોનાની કડી લૂંટી લીધી હતી.
ઝઘડાના પગલે અખાડાના અન્ય શિષ્યો દોડી આવતાં ચારે જણ કારમાં નાસી ગયાં હતાં.
બનાવ અંગે પોલીસે કૌશલ્યાદેની ફરિયાદના આધારે હુમલા સાથે લૂંટ સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કર્યો હતો.
સામેના જૂથની ફરિયાદ ના નોંધતાં મચ્યો હંગામો
કિન્નર અખાડાના મુખ્ય નાયકે ઘડેલાં નીતિ નિયમોનું પાલન ના કરતાં હોઈ આરોપી ચારેય કિન્નરનો છ માસ અગાઉ કિન્નર સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેથી આજનો પ્રસંગ બગાડવાના હેતુથી તેમણે આ ગુનો આચર્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.
બીજી તરફ, પોલીસે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાના આરોપ સાથે સામેના જૂથના કિન્નર અને તેમના સમર્થક કિન્નરોએ વળતી ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે દોડી આવ્યાં હતાં.
પોલીસે તેમની કોઈ વાત જ કાને ના ધરતાં તેમણે ફરિયાદ નોંધાવવાના આગ્રહ સાથે આખો દિવસ પોલીસ મથકે હોબાળો હંગામો કર્યો હતો. આ બનાવ સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બની રહ્યો હતો. સમગ્ર ઘટનામાં પીઆઈની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યાં છે.
Share it on
|