click here to go to advertiser's link
Visitors :  
16-Jun-2025, Monday
Home -> Gandhidham -> Tantrik duped gold ornaments worth Rs 14.40 Lakh in Gandhidham
Sunday, 18-May-2025 - Gandhidham 25138 views
ગાંધીધામઃ નડતર દૂર કરવાના નામે બાવો અને તેનો ગુરુ ૧૪.૪૦ લાખના દાગીના સેરવી ફરાર
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં ટીમ્બર વેપારીની પત્નીને ભોળવીને અજાણ્યો બાવો ધાર્મિક વિધિ કરવાના બહાને ૧૪.૪૦ લાખના ૩૬ તોલા સોનાના વિવિધ ઘરેણાં કપટપૂર્વક સેરવીને નાસી ગયો છે. બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે અજાણ્યા બાવા અને તેના ગુરુ સામે ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંધીધામના વોર્ડ ૭-ડીમાં રહેતા ૫૬ વર્ષિય દિનેશ ભાણજીભાઈ પટેલ ટીમ્બરના વેપારી છે. ગઈકાલે બપોરે ફરિયાદી તેમના બે પુત્રો જોડે ઑફિસે ગયેલાં તે સમયે પોણા બારના અરસામાં કોઈ અજાણ્યો બાવો તેમના ઘરે આવેલો.

ફરિયાદીના પત્ની ગીતાબેને થોડાંક માસ અગાઉ પડી જવાથી કમરે બેલ્ટ પહેરેલો. તે જોઈને બાવાએ તેમને શરીરમાંથી નડતર દૂર કરી આપવાનું કહી વિધિ કરવાનું કહેલું. ફરિયાદીના ધાર્મિક પત્ની બાવાની વાતોમાં ભોળવાઈ ગયેલાં.

બાવાએ ગીતાબેનને વિશ્વાસમાં લેવા માટે ફોન પર તેના ગુરુ જોડે વાત કરાવેલી અને ગુરુએ પણ આ વિધિ બાદ શરીરમાં નડતર દૂર થઈ જશે તેવી ખાતરી આપેલી. ત્યારબાદ અજાણ્યા બાવાએ પાણી ભરેલો ગ્લાસ મગાવેલો. પાણી ભરેલાં ગ્લાસ પર મંત્ર ફૂંકીને તે પાણી ગીતાબેન પર તથા આસપાસમાં છાંટ્યું હતું.

દાગીનાનું શુધ્ધિકરણ કરવું પડશે કહી દાગીના મગાવ્યાં

‘તમારા ઘરમાં ખોટાં સમયે સોનાના દાગીના આવી ગયાં છે અને તેનું શુધ્ધિકરણ કરવું પડશે’ કહીને ઘરમાં પડેલાં તમામ ઘરેણાં માટલાંમાં લઈ આવવા જણાવેલું. અજાણ્યા બાવાની વાતોથી ભોળવાઈને અથવા વશીકરણથી હોશ ગૂમાવી ચૂકેલાં ગીતાબેને ઘરમાં જઈ લૉકરમાં રહેલાં તમામ દર-દાગીના માટલાંમાં ભરીને બાવાને આપી દીધાં હતાં. બાવાએ તેના પર વિધિ કરેલી. બાવાએ તેમને ઘરમાંથી ગંગાજળ લઈ આવવા જણાવેલું.

ગીતાબેન ગંગાજળ લઈને આવ્યા ત્યારે બાવો દાગીના સાથે ગાયબ થઈ ગયો હતો. સ્થળ પર ચુંદડી ઓઢાડેલું ખાલીખમ્મ માટલું પડ્યું હતું.  ગીતાબેન બેહોશ થઈ ગયાં હતાં.

અજાણ્યો બાવો અંદાજે ચાળીસ વર્ષની વયનો હતો અને હિન્દી ગુજરાતીમાં બોલતો હતો.બનાવ સમયે ઘરે ગીતાબેનના સાસુ સસરાં અને પુત્રવધૂ પણ હાજર હતાં. પરંતુ, સૌ પોત-પોતાના કામમાં વ્યસ્ત હતાં અને સમગ્ર ઘટના અંગે અજાણ રહ્યાં હતા તેવું ફરિયાદમાં લખાવાયું છે.

પંદરેક દિવસ અગાઉ પણ આ બાવો ઘરે ભિક્ષા માગવા આવેલો અને ગીતાબેનનો નંબર મેળવીને તેમની સાથે અવારનવાર વાતો કરતો હતો તેવું તેમના પતિએ ફરિયાદમાં લખાવ્યું છે.
Share it on
   

Recent News  
SMCમાં પ્રતિનિયુક્ત અંજાર PI પટેલના માતાપિતાની બનાસકાંઠામાં ઘાતકી હત્યાથી ચકચાર
 
ગાંધીધામમાં વિવિધ ૩ દરોડામાં જાહેરમાં જુગાર રમતી ૧૩ મહિલા સહિત ૨૧ ખેલી ઝડપાયાં
 
લાકડીયા નજીક અજાણી કમભાગી માતાએ નવજાત દીકરાને ઉકરડામાં જીવતો ત્યજી દીધો