કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ગળપાદર પાસે આવેલા રેલવે ફાટક પર ત્રણ અજ્ઞાત શખ્સોએ ગત રાત્રે દોઢ વાગ્યે ગેટમેનને માર માર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી ૩૭ વર્ષિય સ્વામિનંદ આદી દ્રવિડ ભવાનીનગર (ગળપાદર) પાસે આવેલા ફાટક નંબર ૩ પર ગેટમેન તરીકે નોકરી કરે છે. ગત રાત્રે દોઢ વાગ્યાના અરસામાં રેલવે ટ્રેક પરથી માલગાડી પસાર થવાની હોઈ ફરિયાદી ફાટક બંધ કરી રહ્યો હતો. તે સમયે બે યુવકો એક્ટિવા પરથી ફાટક ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. ફરિયાદીએ તેમને જલદી જલદી ફાટક ક્રોસ કરી લેવા જણાવ્યું હતું. ફરિયાદીની વાત સાંભળીને બેઉ જણ અચાનક રોષે ભરાયાં હતાં. માલગાડી પસાર થયાં બાદ બેઉ જણ ફરિયાદી પાસે આવ્યાં હતાં. તે સમયે તેમનો ત્રીજો સાગરીત પણ આવી ચઢ્યો હતો.
અમને કહેવાવાળો તું કોણ કહીને ત્રિપુટીએ ફરિયાદીને ગાળો ભાંડીને ઝઘડવાનું શરૂ કરેલું. એક જણે ફરિયાદીને મુઢ માર માર્યો હતો.
ફરિયાદીએ તેના મોબાઈલ ફોનમાં આરોપીઓનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. જેના આધારે પોલીસે GJ-12 DN-8495 નંબરની એક્ટિવા પર આવેલા બે શખ્સ અને ત્રીજા સાગરીત સામે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, મારામારીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત ૨૫ ફેબ્રુઆરીની રાત્રે આદિપુરમાં આવા જ કારણોસર રેલવે ફાટકમેનને અજાણી ત્રિપુટીએ માર માર્યો હતો.
Share it on
|