કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભારતીય બંધારણની જોગવાઈઓને અનુલક્ષીને દેશની કાનૂન વ્યવસ્થામાં વ્યક્તિગત સ્વતંત્રતાને સર્વોચ્ચ અગ્રિમતા અપાયેલી છે. જો કે, હાલ ભારત પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી તંગદિલીભરી પરિસ્થિતિ સહિતના વિવિધ કારણોસર જાસૂસીના આરોપસર જેલમાં કેદ બીએસએફના જવાનની ૩૦ દિવસ પૂરતી વચગાળાની જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ગાંધીધામથી પકડાયો હતો કાશ્મિરી સજ્જાદ
૨૫-૧૦-૨૦૨૧ના રોજ ગુજરાત ATSએ ગાંધીધામ બીએસએફ હેડ ક્વાર્ટરમાં ફરજ પર તૈનાત મોહમ્મદ સજ્જાદ S/o મોહમ્મદ ઈમ્તિયાઝની પાકિસ્તાન માટે જાસૂસીના આરોપસર ધરપકડ કરેલી. કાશ્મિરના રાજૌરીના વતની સજ્જાદ ૨૦૧૨થી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI માટે જાસૂસી કરતો હોવાનું, વોટસએપથી ભારતને લગતી અતિગુપ્ત માહિતીઓ મોકલીને નાણાંકીય લાભ મેળવ્યો હોવાનું તહોમત મૂકાયું હતું.
નાના ભાઈના નિકાહમાં સામેલ થવા અરજી કરેલી
પોતાના નાના ભાઈના આગામી ૯ જૂનથી ૧૧ જૂન દરમિયાન નિકાહ થવાના હોઈ મોટાભાઈ તરીકે લગ્નપ્રસંગે પોતાની હાજરી જરૂરી હોવાનું કારણ રજૂ કરીને સજ્જાદે પોતાના ૩૦ દિવસના ઈન્ટરીમ બેઈલ મંજૂર કરવા રજૂઆત કરી હતી. અગાઉ હાઈકૉર્ટે પોતાના ઈન્ટરીમ બેઈલ મંજૂર કરેલાં અને મુદ્દત પૂરી થયે સમયસર જેલમાં હાજર થઈ ગયેલો તેવી સજ્જાદ વતી વકીલે રજૂઆત કરી હતી.
ભારત પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલી વર્તમાન તંગદિલીભરી પરિસ્થિતિ, કેસની ટ્રાયલ ચાલું હોવાનું, આરોપી કાશ્મિરનો હોવાનું અને નાસી જઈ શકે છે તેવી શક્યતાના આધારે સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિયાએ આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી છે.
Share it on
|