કચ્છખબરડૉટકોમ, ભુજઃ માછીમારી કરતાં કરતાં બોટના એન્જિનમાં ખોટીપો સર્જાતાં ભારતીય જળ સીમામાં સીરક્રીક નજીક ઘૂસી આવીને બોર્ડર સિક્યોરીટી ફોર્સના હાથે ઝડપાયેલાં ત્રણ પાકિસ્તાની માછીમારોને ભુજ સેશન્સ કૉર્ટે બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. જો કે, કૉર્ટનો ચુકાદો એ સમયે આવ્યો છે કે જૂન ૨૦૨૩માં પકડાયેલાં આ ત્રણે પાકિસ્તાની માછીમારોને સજા પૂરી થવામાં હવે ફક્ત ૮ જ દિવસ બાકી રહ્યાં છે! સીરક્રીકમાં ફેબ્રુઆરી ૨૦૨૩માં ઝડપાયાં હતા
૬૫ વર્ષિય ગુલામ મુર્તુજા હસન મોહમ્મદ શાહ સૈયદ, ૬૧ વર્ષિય બશીર જાબાદ બલોચ અને ૫૪ વર્ષિય અકબર અલી અબ્દુલ ગની લાડક (રહે. ત્રણે કરાચી)ની બીએસએફએ ૨૨-૦૨-૨૦૨૩ના રોજ સીર ક્રીકમાંથી ફિશીંગ બોટ સાથે ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી પાક. મોબાઈલ, સીમકાર્ડ, જીપીએસ અને વાયરલેસ સિસ્ટમ મળી આવી હતી.
વિવિધ એજન્સીએ બે માસ દસ દિવસ સુધી તેમની ગહન પૂછતાછ કરેલી પરંતુ ભારતવિરોધી પ્રવૃત્તિ કે તેવો કોઈ ઈરાદો સ્પષ્ટ થયો નહોતો.
૦૨-૦૫-૨૦૨૩ના રોજ બીએસએફએ ત્રણે વિરુધ્ધ નારાયણ સરોવર પોલીસ મથકે ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ તળે ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પોલીસે તેમની ૦૫-૦૬-૨૦૨૩ના રોજ વિધિવત્ ધરપકડ કરી હતી. આ ગુનામાં આજે ભુજના નવમા અધિક સેશન્સ જજ ડી.બી. રાજને ત્રણેને દોષિત ઠેરવીને પાસપોર્ટ એક્ટની કલમ ૩ હેઠળ બે વર્ષની સખ્ત કેદ સાથે ૫ હજાર દંડ તથા ફોરેનર્સ એક્ટની કલમ ૧૪ (એ) (બી) હેઠળ બે વર્ષની સખ્ત કેદ સાથે ૧૦ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
બંને સજા એકસાથે ભોગવવાની રહેશે અને આરોપીઓએ અત્યારસુધીમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં જે સમય વીતાવ્યો છે તે તેમાં મજરે મળશે તેવું કૉર્ટે ચુકાદામાં નોંધ્યું છે. તે જોતાં આગામી છઠ્ઠી જૂને ત્રણેની કેદની સજા પૂર્ણ થઈ જશે.
જો કે, કેદની સજા પૂર્ણ થયાં બાદ પણ જ્યાં સુધી તેમને પાકિસ્તાન ડીપોર્ટ કરવાની મંજૂરી ના મળે ત્યાં સુધી તેમણે જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટરમાં પોલીસ પહેરા હેઠળ નજરકેદમાં જ રહેવું પડશે.
Share it on
|