ગાંધીધામઃ સ્પીડના નશામાં બે યુવકોને મોત આપનાર યુવકોનું પોલીસે કાઢ્યું જાહેર સરઘસ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં બેફિકરાઈથી પૂરઝડપે કાર હંકારી ટાગોર રોડ પર બે દ્વિચક્રી પર આગળ જતાં ચાર યુવકોને ટક્કર મારી, બેનાં મોત સર્જવાના ગુનામાં પકડાયેલાં કારચાલક સહિતના ચારે આરોપીના કૉર્ટે એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.
Video :
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આજે ચારે જણને પગપાળા અકસ્માત સ્થળે લઈ જઈને બનાવનું ડેમોન્સ્ટ્રેશન પંચનામું કર્યું હતું.
અકસ્માતના બનાવ અંગે શનિવારે સાંજે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કારચાલક નીતિન મુકેશભાઈ ગોસ્વામી, દીપક ઈશ્વરભાઈ ધુલાણી, તરુણ જીતેન્દ્રભાઈ રીઝવાણી અને મનીષ અશોકભાઈ ખેમચંદાણી વિરુધ્ધ સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો તળે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કેચાલક નીતિન ગોસ્વામીના ઘર પાસેથી તમામ જણાં કારમાં બેસીને સહઆરોપીના પિતાની ઈંડાની લારીએ ઈંડા ખાવા નીકળ્યાં હતા. રસ્તામાં ઈરાદાપૂર્વક રેસ લગાડતાં હોય તેમ સ્પીડનો નશો કરવા પૂરઝડપે કાર હંકારીને આ દુર્ઘટના સર્જી હતી.
બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયાએ જણાવ્યું કે અકસ્માતગ્રસ્ત ત્રણે વાહનોનું ફોરેન્સિક પરીક્ષણ કરાવી લેવાયું છે અને હવે આરટીઓ મારફતે વાહનોના ફૉલ્ટ, ફીટનેસ, બ્રેક વગેરે બાબતોનું પરીક્ષણ કરાવાશે.