|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અંજારના ચંદિયામાં પ્રેમીએ પ્રેમિકાને ટૂંપો આપી લાશને કૂવામાં ફગાવી દીધી હોવાની અરેરાટી હજુ શમી નથી ત્યાં ગાંધીધામમાં હત્યાનો આવો વધુ એક બનાવ બહાર આવ્યો છે. હોટેલમાં પ્રેમીએ પ્રેમિકાને ગળેટૂંપો આપી મારી નાખી છે. ગાંધીધામના ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી હોટેલ મહાદેવમાં શનિવારે બપોરે બારેક વાગ્યાના અરસામાં ગાંધીધામના યુવક યુવતી રૂમ રાખી રોકાયેલાં. સાંજે સાડા ચારના અરસામાં રૂમમાં રોકાયેલો યુવક એકલો હોટેલ બહાર નીકળી ગયો હતો. સાડા છના અરસામાં હોટેલ સ્ટાફે રૂમ ચેક કરતાં તેમાં નિશ્ચેતન હાલતમાં યુવતીનો મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. હોટેલ સ્ટાફ દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી. યુવતી મૃત્યુ પામેલી હોઈ લાશને રામબાગ હોસ્પિટલમાં ખસેડાઈ પેનલ પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.
પોસ્ટમોર્ટમમાં ઘટસ્ફોટ થયો હતો કે યુવતીનું ગળું દબાવી હત્યા કરાઈ છે.
ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરીને યુવતી સાથે હોટેલ રૂમમાં રોકાયેલાં યુવક દિલીપ રેવાભાઈ રાઠોડ (રહે. સુંદરપુરી, ગાંધીધામ)ને દબોચીને પૂછપરછ હાથ ધરતાં દિલીપે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.
મરણ જનાર ભાવના એકાકી જીવન જીવતી હતી
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ મરણ જનાર યુવતી ભાવના D/o જેઠાભાઈ લોંચા (ઉ.વ. અંદાજે ૩૦, રહે. માથક, અંજાર) એકાકી જીવન જીવતી હતી. આરોપી દિલીપ સાથે તેને લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. ભાવનાના અગાઉ બેવાર લગ્ન થયેલાં. સન્ની નામના યુવક સાથેના પહેલાં લગ્નથી પુત્રી જન્મેલી, જે હાલ સન્નીના માવતર પાસે રહે છે.
સન્ની મૃત્યુ પામ્યાં બાદ ભાવનાએ બીજા લગ્ન કરેલા પરંતુ બીજા પતિ સાથે મનમેળ ના આવતાં છૂટાછેડાં લઈને, પોતાના માતા પિતાથી સ્વતંત્ર રહેવા માંડી હતી. બીજી તરફ, દિલીપ રાઠોડના પણ પત્ની સાથે છૂટાછેડાં થયેલાં હોઈ તે એકાકી જીવન જીવતો હતો.
ભાવના અને દિલીપ અવારનવાર હોટેલમાં રોકાવા આવતા હતા.
જો કે, ભાવના અન્ય પુરુષો સાથે પણ મૈત્રી સંબંધો રાખતી હોઈ તે મામલે ગઈકાલે દિલીપ અને તેની વચ્ચે ઝઘડો થયેલો. જેમાં ઉશ્કેરાઈને દિલીપે ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી.
ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ. ડી. ચૌધરી અને પીએસઆઈ વી.એચ. ઝાલા સહિતનો સ્ટાફ હાલ જરૂરી પંચનામાં, પુરાવા એકત્ર કરવાની કામગીરીમાં વ્યસ્ત છે. સાંજ સુધીમાં વિધિવત્ ફરિયાદ દાખલ કરાશે.
Share it on
|