કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પરિવારની મરજી વગર પ્રેમી સાથે ભાગી જઈને લગ્ન કરી લેનારી કેટલીક યુવતીઓનું જીવતર ઘણી વાર જહન્નમમાં ફેરવાઈ જાય છે તેની આ સત્ય ઘટના જાણીને તમને અરેરાટી થશે. વાત છે મૂળ નેપાળી પરિવારની ગાંધીધામમાં રહેતી સોનમ સુનારની. સોનમ ઘરમાં સૌથી મોટી દીકરી હતી. પિતા રતનબહાદુર સુનાર અને બે નાનાં ભાઈ સાથે ગાંધીધામમાં રહેતી હતી. મહેનતકશ પરિવાર મજૂરી કરીને પેટિયું રળતો હતો. ૨૦૧૧ના વર્ષમાં સોનમ શહેરના ભારતનગરમાં રહેતા સુલતાન જુસબ સુમરા નામના યુવક સાથે ભાગી ગયેલી.
દીકરીના પગલાંથી આઘાતગ્રસ્ત પરિવાર નેપાળ પરત જતો રહેલો
સોનમના આ પગલાંથી પિતા અને ભાઈઓને ખૂબ આઘાત લાગ્યો હતો. ત્રણે જણ ગાંધીધામ છોડીને સિધ્ધપુર અને પછી નેપાળ પરત જતા રહેલાં.
સુલતાન સાથેના લાગણીના સંબંધો ખાતર સોનમે પિતા ભાઈઓ સાથેનો લોહીનો સંબંધ જાણે તોડી નાખ્યો હતો.
સોનમ સુલતાન સાથે ગાંધીધામમાં તેની પત્ની તરીકે રહેવા માંડી હતી. થોડાંક વર્ષો બાદ સુલતાનનું પોત પ્રકાશવા માંડેલું. સુલતાન સોનમને નાની નાની વાતે મારકૂટ કરતો. ક્યારેક પિતા ભાઈઓની યાદ આવી જતી તો સોનમ પતિની જાણ બહાર નાના ભાઈ રાહુલને ફોન કરી લેતી.
સુલતાને સોનમને તેના પરિવારજનો સાથે ફોન પર વાત કરવાનો કડક પ્રતિબંધ મૂકી દીધો હતો.
સુલતાનનો ત્રાસ ઉત્તરોત્તર વધતો ગયો હતો. સુલતાન સોનમને ઢોરની જેમ માર મારતો. ૧૨ જૂલાઈના રોજ સોનમે ગાંધીધામમાં રહેતા કાકાના દીકરા સંતોષને ફોન કરી જણાવેલું કે સુલતાન તેને અવારનવાર અતિશય માર મારે છે. તે બહુ ગુસ્સાવાળો છે.
પતિથી ખૂબ ડરી ગયેલી સોનમે પિતરાઈ ભાઈ સંતોષને વ્યથા વર્ણવી કહેલું ‘જો જે ભાઈ, તું મારા ઘરે ના આવતો કે મને કદી સામેથી ફોન પણ ના કરતો. જો તેની જાણ થશે તો મારો પતિ મને મારી જ નાખશે’
શુક્રવાર સવારે પોલીસને ગુપ્ત બાતમી મળેલી કે ભારતનગર વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષની એક પરિણીત સ્ત્રીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પરિવાર તેની અંતિમવિધિની તૈયારી કરી રહ્યો છે. માહિતીને ગંભીરતાથી લઈને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દોડી ગયેલી.
સોનમના પતિ સુલતાને પોલીસને જણાવ્યું કે તેને ખેંચની બીમારી હતી. ખેંચ આવતા પડી જવાથી મૃત્યુ પામી છે. પરંતુ, સોનમના શરીર પર લગભગ દરેક અંગની ચામડી પર ઢોર માર મરાયો હોવાની ઈજાના નિશાન જણાતાં હતા.
પોલીસે સોનમની ડેડબૉડીને પોસ્ટમોર્ટમ માટે રામબાગ સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી. બનાવની જાણ થતાં પિતરાઈ ભાઈ સંતોષ સુનાર રામબાગ દોડી ગયેલો. દુબઈમાં લોન્ડ્રી વર્કર તરીકે કામ કરતા સોનમના નાના ભાઈ રાહુલને ફોન કરી જાણ કરેલી કે સોનમનું મરણ થઈ ગયું છે. મેં હોસ્પિટલે જઈ તેની લાશ જોઈ તો આખા શરીરે મુઢ મારના નિશાન જોવા મળેલાં. માથા પાછળથી લોહી નીકળેલું પણ જોવા મળેલું.
પોલીસે સોનમની લાશને ફોરેન્સિક ઑટોપ્સી માટે જામનગર મેડિકલ કોલેજ ખાતે મોકલી આપેલી. જેમાં બહુવિધ ઈજા (મલ્ટિપલ ઈન્જરી)થી સોનમનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે.
બહેનના મૃત્યુની વાત જાણીને રાહુલ દુબઈથી ગાંધીધામ દોડી આવ્યો છે. રાહુલે પોલીસને જણાવ્યું કે છેલ્લે ચાર વર્ષ અગાઉ ફોન પર સોનમ જોડે વાત થયેલી. ત્યારબાદ કદી વાત થઈ નહોતી.
રાહુલે બહેનને મુઢ માર મારી તેનું મૃત્યુ નીપજાવવા બદલ સુલતાન જુસબ સુમરા સામે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગત મધરાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સુલતાનને રાઉન્ડ અપ કરી લીધો છે.
સુલતાને શા માટે પત્ની સોનમને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી તે અંગે પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ ઝીણવટભરી તપાસ કરી રહ્યાં છે. આજે સાંજે ચાર વાગ્યે રામબાગથી સોનમની અંતિમયાત્રા નીકળશે તેમ કચ્છ ગોરખા સમાજે જણાવ્યું છે. આ ઘટનાએ સૌના હૃદય હચમચાવી દીધા છે.
Share it on
|