કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષિય પરપ્રાંતીય શ્રમિકની હત્યા કરનારા બે આરોપીને ગણતરીના કલાકોમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યાં છે. એક ઓરડીમાં રહેતાં બે યુવકો વચ્ચે નાણાંની લેતી-દેતીમાં મૃતકે એક જણને ઠપકો આપતાં મામલાએ હિંસક વળાંક લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મરણ જનાર સુરેશભાઈ સાગાભાઈ ચંદ્રવંશી (રહે. મૂળ એમપી) સુંદરપુરીમાં તેની પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. નજીકમાં તેનો સગો ભાઈ માતા સાથે રહે છે. સૌ છૂટક મજૂરી કરી પેટિયું રળે છે. સોમવારે સાંજે સુરેશ તેની ઓરડી સામેરહેતા અશોક કરણસિંગ કીર પાસે બેઠો હતો. તે સમયે અશોકની સાથે ઓરડીમાં રહેતો અજય ઈશ્વરલાલ માલવી તેમની પાસે આવ્યો હતો.
અજયે અશોક પાસે આવીને રોટલી બનાવી દીધી હોવાનું જણાવી હોટેલથી મટન સબ્જી લાવવા માટે રૂપિયા માંગ્યા હતાં. આ સમયે સુરેશે અજયને ઠપકો આપ્યો હતો કે તું કંઈ કામધંધો કરતો નથી અને બીજા પાસે પૈસા માંગે છે? આ મુદ્દે સુરેશ અને અજય વચ્ચે બબાલ થયેલી.
અશોક અને અજયે એકથઈને સુરેશને ધક્કો મારતાં સુરેશ બાથરૂમના દરવાજા સાથે ભટકાઈને નીચે પડી ગયેલો. તે સમયે બાજુમાં પડેલું લાકડાનું પાટિયું ઉઠાવીને અજયે તેના માથામાં જોરથી ફટકારી દેતાં ગંભીર ઈજાથી સુરેશનું મૃત્યુ નીપજ્યું હતું. બબાલ સમયે લોકો ભેગાં થઈ જતાં બેઉ જણ સ્થળ પરથી નાસી છૂટ્યાં હતાં. બનાવ પ્રકાશમાં આવ્યાં બાદ રાત્રે પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં અશોક અને અજયની ધરપકડ કરી લીધી હતી. બેઉ જણાં પણ એમપીના વતની છે. બેઉ આરોપી એમપીના હોઈ તેઓ નાસી જવાની આશંકા હોઈ ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી, પીએસઆઈ એમ.એચ. જાડેજા તથા સહયોગી સ્ટાફે આખી રાત દોડધામ કરીને હત્યા જેવા ભારે ગુનાના આરોપીને દબોચી લીધાં હતાં.
Share it on
|