|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની આંગડિયા પેઢીના સંચાલક પાસેથી મોટી રકમની ખંડણી વસૂલવા તેનું અપહરણ કરવાના ગુનામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ રાજસ્થાનથી વધુ એક ખૂંખાર આરોપીને ગાંધીધામ લઈ આવી છે. બિકાનેરના આરોપી શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢાના પોલીસે આઠ દિવસના રીમાન્ડ મેળવ્યાં છે. ગઈ ૧૬ જૂલાઈની બપોરે ચારે જણ ગાંધીધામની સમકિતનિધિ આંગડિયા પેઢીના સંચાલક કેતન કાંકરેચાનું બંદૂકના નાળચે કારમાં અપહરણ કરેલું. સરાજાહેર ફિલ્મી ઢબે થયેલા આ અપહરણ અંગે પોલીસને તુરંત માહિતી મળતાં રસ્તા પર ઠેર ઠેર પોલીસ વૉચ તૈનાત કરી પેટ્રોલીંગ શરૂ કરાવ્યું હતું. પોલીસની હાજરીથી ડરી ગયેલા અપહરણકારો ભચાઉના જંગી ગામ તરફ વળેલાં અને કોઈ આરો ના જણાતાં કેતનભાઈને કારમાં જ પડતાં મૂકીને પગપાળા નાસી છૂટ્યાં હતા. જો કે, પોલીસે પવન બરોર નામના એક અપહરણકારને દબોચી લીધો હતો.
મોરબીના નામચીન શખ્સે ઘડ્યું હતું કાવતરું
પવનની પૂછપરછમાં બહાર આવેલું કે ખંડણી વસૂલવા માટે અપહરણનું કાવતરું મોરબીના નામચીન હિતેન્દ્રસિંહ ઊર્ફે હિતુભા કરણસિંહ ઝાલાએ રચેલું. ગુનાને અંજામ આપવા હિતુએ તેના બૉડીગાર્ડ પવન અને તુષાંત ઊર્ફે સૂરજ ઊર્ફે ટાઈગર વાસુને રાજસ્થાનના રીઢા માણસો એકઠાં કરી આપવા જણાવેલું. આ ગુનામાં આરોપીઓને મદદ કરવા બદલ કચ્છના બરતરફ એએસઆઈ કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા અને મયૂર શંભુભાઈ હેઠવાડિયાની ભૂમિકા સપાટી પર આવતા પોલીસે બેઉની ધરપકડ કરેલી.
પોલીસી મુખ્ય બજારમાં કર્યું રીકન્સ્ટ્રક્શન
પોલીસ તપાસમાં નવ લોકોની સંડોવણી બહાર આવેલી છે, જે પૈકી ચોથા આરોપી શ્રવણસિંહને પોલીસ બિકાનેર જિલ્લા જેલમાંથી ગાંધીધામ લઈ આવી છે. શ્રવણસિંહ પર રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મર્ડર, આર્મ્સ એક્ટ સહિતના વિવિધ ૨૫ ગુના નોંધાયેલાં છે. ગુનાનો સૂત્રધાર હિતુભા, તેનો બૉડીગાર્ડ તુષાંત, આકાશ રાજપૂત, અજય અને ભૈયાજી નામના આરોપીઓ હજુ પકડાવાના બાકી છે. પીઆઈ એમ.ડી. ચૌધરી, પીએસઆઈ વીચ.એચ. ઝાલા સહિતની પોલીસ ટીમે આજે ગાંધીધામની મુખ્ય બજારમાં ઘટનાસ્થળે શ્રવણને લઈ જઈ અપહરણના ગુનાને રીક્રીએટ કર્યો હતો.
Share it on
|