|
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરના શિણાય નજીક આવેલા ભેડિયા (સ્ટોન ક્રશર પ્લાન્ટ)માં પાણી ભરેલાં ઊંડા ખાડામાં ડૂબી જવાથી પિતા પુત્રના મોત નીપજતાં આઘાત છવાયો છે. આજે સાંજે ચાર સાડા ચારના અરસામાં દુર્ઘટના ઘટી હતી. મરણ જનાર અલ્પેશભાઈ પુંજાભાઈ બજરીયા (ઠાકોર) (રહે. મૂળ ખેરાલુ, મહેસાણા) અને તેમનો ૨૨ વર્ષિય પુત્ર ગણેશ અન્ય પરિચિતો સાથે ખાડામાં નહાવા પડ્યાં હતા. દરમિયાન, પુત્ર ગણેશ ડૂબવા માંડતા અલ્પેશભાઈએ પણ પુત્રને બચાવવા માટે પ્રયાસો હાથ ધરેલાં. પિતા પુત્ર બેઉમાંથી એકે’યને તરતાં આવડતું નહોતું અને જોતજોતામાં ત્યાં હાજર પરિચિતોની નજર સમક્ષ બાપ બેટો બેઉ ઊંડા પાણીમાં ડૂબી ગયાં હતા.
દુર્ઘટનાના સાડા ચાર પાંચ કલાક બાદ ભારે શોધખોળના અંતે બેઉના મૃતદેહ બહાર કઢાયાં હતા. ઊંડા પાણીમાં ડૂબી ગયેલાં લોકોના મૃતદેહો બહાર કાઢી માનવ સેવાનું કાર્ય કરતી ડોલ્ફિન સંસ્થાના બે તરવૈયાએ અંદાજે ૩૦- ૪૦ ફૂટ ઊંડા ખાડામાંથી મૃતદેહો બહાર કાઢ્યાં હતા.
બેઉ જણ શિણાયની આકાર વિલા સોસાયટી નજીક સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
દુર્ઘટનાના પગલે આદિપુર પોલીસ મથકના હરદેવસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. દુર્ઘટના અંગે પીઆઈ એમ.સી. વાળાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|