|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ નકલી ઈડી ગેંગ બનીને રાધિકા જ્વેલર્સના માલિકના ઘરે કથિત સર્ચ ઓપરેશન કરી ૨૫ લાખના ઘરેણાંની ચોરીના ગુનામાં આજે તમામ આરોપીને કૉર્ટે જેલ હવાલે કરી દીધાં છે. બીજી ડિસેમ્બરના રોજ બનેલા આ બનાવ સંદર્ભે પૂર્વ કચ્છ પોલીસે બે જ દિવસમાં ગુનામાં સામેલ ૧૩ પૈકી ૧૨ આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલાં તમામ આરોપીના ૧૧ દિવસના રીમાન્ડ પૂરાં થતાં આજે તેમને ગાંધીધામ કૉર્ટમાં રજૂ કરાયાં હતાં. પોલીસે પૂછપરછ અને તપાસ પૂરી થઈ ગઈ હોવાનું જણાવી વધુ રીમાન્ડની માંગણી કરી નહોતી. બીજી તરફ, આરોપીઓએ જામીન અરજી દાખલ કરી હતી. જો કે, કૉર્ટે તેમની અરજી ફગાવીને જેલહવાલે કર્યાં છે. આરોપીઓ સામે ઈડીનું નકલી ઓળખપત્ર બનાવવા સંદર્ભે પોલીસે ગુનામાં BNS કલમ ૩૩૭, ૩૩૮, ૩૩૯નો ઉમેરો કર્યો છે.
આપ કનેક્શન અંગે કૉર્ટમાં કશી રજૂઆત નહીં
આ ગુનામાં પોલીસે જેને સૂત્રધાર ગણાવ્યો છે તે ભુજના અબ્દુલ સત્તાર માંજોઠીના આમ આદમી પાર્ટી સાથે કનેક્શન અને તોડના રૂપિયા તે પાર્ટીના કાર્યક્રમોમાં વાપરતો હોવાના એસપીના નિવેદનના પગલે ભારે હોબાળો મચ્યો છે. એસપીએ તેને મળેલાં ફંડની મની ટ્રેઈલ તપાસવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જો કે, આજે આ મામલે પોલીસે કૉર્ટમાં કોઈ જ રજૂઆત કરી નહોતી તેમ સરકારી વકીલ ભગવાન પટેલે જણાવ્યું હતું. આ મામલે જવાબદારોએ મૌન ધારણ કરી લેતાં એસપીના નિવેદન અંગે નવું શું ડેવલોપમેન્ટ છે તે મુદ્દો રહસ્યમયી બની રહ્યો છે.
Share it on
|