|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ૨૯ કરોડ ૮૫ લાખની જીએસટી ચોરીના ગુનામાં પકડાઈને જેલમાં રહેલાં ઓડિશાની જગન્નાથ એન્ટરપ્રાઈઝ નામની કંપનીના માલિકની નિયમિત જામીન અરજી ગાંધીધામ કૉર્ટે ફગાવી દીધી છે. આરોપી ચિન્મય મિશ્રાની DGGIએ ધરપકડ કરેલી અને તે ૧૪ ફેબ્રુઆરીથી જ્યુડીસિયલ કસ્ટડીમાં છે. ડિરેક્ટર જનરલ ઑફ GST ઈન્ટેલિજન્સના ગાંધીધામ એકમની તપાસમાં બહાર આવ્યું હતું કે ઓનલાઈન રીયલ મની ગેમીંગના નાણાં જુદી જુદી આઠ કંપનીઓમાં ખેલીઓ દ્વારા UPIથી જમા કરાવાય છે. આ આઠ કંપનીઓ પૈકીની એક કંપની હતી જગન્નાથ એન્ટરપ્રાઈઝ.
DGGIની તપાસમાં એ પણ બહાર આવેલું કે આ કંપનીઓના ખાતામાં UPIથી જમા થતાં નાણાં અંતે એપેક્સીયો સ્પાર્ક્સ ટેકનોલોજી પ્રા.લિ. નામની એક કંપનીના ખાતામાં ટ્રાન્સફર થતાં હતા. તપાસમાં બહાર આવેલું કે એપેક્સીયો નામની કંપનીના ખાતામાં કુલ ૧૦૬ કરોડ ૬૧ લાખથી વધુ રકમ જમા થયેલી.
આ રકમ પર કંપનીઓએ ચૂકવવાપાત્ર થતાં ૨૯ કરોડ ૮૫ લાખના GSTની ચોરી કરી હતી. ગાંધીધામના ચોથા અધિક સેશન્સ જજ એ.એમ. મેમણે બંને પક્ષની દલીલો, પુરાવા, કાયદાકીય જોગવાઈ, ગુનાની ગંભીરતાને અનુલક્ષીને ચિન્મય મિશ્રાની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસમાં DGGI વતી સ્પે. પબ્લિક પ્રોસિક્યુટર કે.સી. ગોસ્વામીએ દલીલો કરી હતી.
Share it on
|